સદ્દનસીબે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા શહેરો અને ગામોમાં તેમજ ગુજરાતમાં મેઘરાજાએ અષાઢમાં ધરવોધરવ કૃપા વરસાવી છે અને મેઘકૃપાને પગલે જળસંકટનો ખતરો મહદઅંશે ટળી ગયો છે. લગભગ દરેક શહેરો અને ગામોમાં ખાડે ગયેલા રસ્તાઓને કારણે લોકોને અસહ્ય હાડમારીનો સામનો કરવો પડ્યો છે. દર ચોમાસે રસ્તા-પુરાણની પીડાદાયક કથાનું પુનરાવર્તન થતું જ રહે છે. મહાકાય ખાડાઓથી રસ્તા બદસુરત બની જાય છે. ખાડાઓમાં પડીને વાહન ચાલકોના હાડકાં ભાંગે છે, હાથ- પગ છોલાઈ જાય છે અને બહુ ગોકીરો લોકોમાં થયા બાદ મોટા ઉપાડે લોકો પર જાણે ઉપકાર થતો હોય તેમ ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ કોઈ એ સવાલ પૂછતું નથી કે, તંત્ર લોકોના દેકારા બાદ ખાડા તો બુરી દયે છે પણ આગળ શું?
Visit Saurashtra Kranti Homepage here
આવા પાપડ જેવા રસ્તા બનાવીને પહેલા જ વરસાદની ઝીંક ન ઝીલી શકે એવું લોટ, પાણી અને લાકડા જેવું નબળું કામ કરનારા માર્ગ કોન્ટ્રાકટરો કે પેઢીઓને તાત્કાલિક બ્લેક લીસ્ટ કેમ કરવામાં આવતી નથી? આવા કોન્ટ્રાકટરો મોટાભાગે કાં તો નેતાઓનાં સ્વજન હોય છે અથવા તો રાજકીય રીતે છેડા ધરાવતા હોય છે. આથી દર ચોમાસામાં કડક પગલાની સજામાંથી છટકી જાય છે. આશ્ર્ચર્યની હદ તો એ છે કે, ફરીથી એ જ રસ્તાને નવેસરથી બનાવવાનું કામ એ જ પેઢીને મળી જતું હોય છે. જેના કારનામાંથી રસ્તાની આવી હાલત થઇ ગઈ હોય છે..!! આ વિષચક્ર દરવર્ષે ચાલતું જ રહે છે જેનો કોઈ અંત આવતો નથી.
સરકાર ગ્રામ્ય અને રાજ્ય માર્ગોની સુધારણા માટે તથા ડામરના બનાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની ફાળવણી કરતી હોય છે. પરંતુ નવા બનેલા રસ્તા તેનું પહેલું ચોમાસું પણ જોઈ શકતા નથી અને ખાડે જાય છે. પહેલા જ વરસાદમાં આવા કહેવાતા ડામરનાં અને સીસી રોડની છાતી પર મહાકાય ખાડા પડી જાય છે અને મુક રહીને ભ્રષ્ટાચારની બુમરાણ કરતા રહે છે.
સ્થાનિક તંત્ર અને જિલ્લા તંત્ર ખાડાઓ બુરીને સંતોષનો ઓડકાર ખાઈ લ્યે છે પણ આવા પીઝા અને પાપડ જેવા કાચા-પોચા અને બટકણા રસ્તા બનાવનાર કોન્ટ્રાકટરો પાસેથી કોઈ હિસાબ પૂછવામાં આવતો નથી, એમનો ઉધડો લેવાતો નથી અને સિફત પૂર્વક ઢાંકપીછોડો કરી નાખવામાં આવે છે. આવું વલણ બિલકુલ જનહિતમાં નથી. બધાને એ ખબર છે કે સરકારનાં આવા કોન્ટ્રાકટ મેળવનારા નેતાગણ કે સતાધારી કાફલાનાં સગા-સ્વજનો જ હોય છે અથવા તો લોક પ્રતિનિધિઓની નજીકના હોય છે.
Read About Weather here
એટલે આટલું બધું ગુણવત્તા વગરનું નબળું કામ કરીને પ્રજાના પૈસા વેડફી નાખી પોતાના ગજવા ભરી લીધા છતાં આવા કોન્ટ્રાકટરો સામે કોઈ પગલા લેવાતા નથી. એમને બ્લેક લીસ્ટ કરવાનું તો દૂર રહ્યું એમને સાદી નોટીસ આપીને ખુલાસો પણ પૂછવામાં આવતો નથી. પરિણામે દરવર્ષે એવાને એવા દ્રશ્યોની હારમાળાનું પુનરાવર્તન થતું રહે છે. રસ્તા ભલે ખાડે જાય, લોકો ભલે પરેશાન થાય પણ રસ્તા બનાવનારાનાં જલસા અને લોકોનાં પૈસે તાગડધિન્નાને કોઈ જ આંચ આવતી નથી. તે લોકોની કમનસીબી નહીં તો શું?!! તેવી ચર્ચાઓ થઈ રહીં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here