દુનિયાભરમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. લેન્સેટ કમિશનના રિસર્ચ અનુસાર 2040 સુધીમાં સ્તન કેન્સરથી 10 લાખ લોકોના મૃત્યુ થશે. 2020 સુધીના પાંચ વર્ષમાં 78 લાખ મહિલાને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું અને લગભગ 6,85,000 મહિલા એ જ વર્ષ આ રોગથી મૃત્યુ પામી હતી.
રિસર્ચના જણાવ્યા અનુસાર વિશ્વમાં 2020માં દર 12 મહિલાએ એક મહિલાને 75 વર્ષ પહેલાં સ્તન કેન્સર થવાની શકયતા હતી અને આ પ્રમાણ વધી રહ્યું છે. લેન્સેટ કમિશનના જણાવ્યા અનુસાર સ્તન કેન્સરના કેસ 2020ના 23 લાખથી વધીને 2040માં 30 લાખ થવાનો અંદાજ છે. જેની સાથે વધુ અસર નીચી અને મધ્યમ આવક ધરાવતી મહિલાઓને થશે.
ઉપરાંત, 2040 સુધીમાં આ રોગથી વર્ષે 10 લાખ મહિલાના મૃત્યુ થવાની આશંકા છે. રિસર્ચમાં જણાવ્યા અનુસાર ‘આ સ્વીકાર્ય નથી કે અનિવાર્ય પણ નથી. અત્યારે લીધેલાં પગલાં ભવિષ્યમાં કેન્સરને અટકાવી શકે.’ મોટાભાગની મહિલાઓમાં સ્તન કેન્સરની જાગૃતિનો અભાવ છે. મેડાસ્ટેટિક સ્તન કેન્સર શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે, પણ તેની જાણ નહીં હોવાની કારણે સમયસર સારવારના પગલાં લઈ શકાતા નથી.
લેન્સેટ કમીશનના મુખ્ય રિસર્ચર શાર્લોટ કોલ્સે જણાવ્યું હતું કે, ‘સ્તન કેન્સરમાં દર્દી જીવિત રહેવાના તાજેતરના કિસ્સા આધુનિક મેડીકલ સાયન્સની સફળતા દર્શાવે છે. ઉંચી આવક ધરાવતા દેશોમાં સ્તન કેન્સરથી થતા મૃત્યુમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. જો કે, આપણે એ વાતની અવગણના ન કરી શકીએ કે મોટી સંખ્યામાં મહિલાઓ સ્તન કેન્સરનું નિદાન નહીં થવાને કારણે સમયસર સારવાર મેળવી શકતી નથી.’
લેન્સેટ કમિશને સ્તન કેન્સરના પડકારને પહોંચી વળવા દર્દી અને હેલ્થ પ્રોફેશનલ્સ વચ્ચે વધુ સારા સંવાદને મહત્વનો ગણાવ્યો હતો. કમિશને સ્તન કેન્સરની સારવારનો ખર્ચ ઘટાડવા નવા સાધનો અને માપદંડ વિકસાવવા પર ભાર મુકયો હતો. ઉંચી આવક ધરાવતા દેશોમાં સ્તન કેન્સરના દર્દીઓનો બચવાનો દર 90 ટકાથી વધુ છે. ભારતમાં તે 66 ટકા અને દક્ષિણ આફ્રિકામાં 40 ટકા છે.