મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને માનસિક બીમારીની છેલ્લા બે મહિનાથી દવા ચાલુ હતી.જે બીમારીથી કંટાળી જઇને તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ શિવપાર્ક સોસાયટી શેરી નંબર-3 માં રહેતા મૂળ માળીયા (મિં.) ના મોટા દહીંસરા ગામના રહેવાસી ભરતસિંહ બટુકસિંહ જાડેજા જાતે દરબાર (ઉમર વર્ષ 40) એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
જેથી કરીને તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન રણજીતસિંહ વખતસિંહ જાડેજા જાતે દરબાર (ઉંમર 57) રહે.મોટા દહીંસરા એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવી હતી.વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભરતસિંહ જાડેજાને છેલ્લા બે મહિનાથી માનસિક બીમારી હોય જેની દવા અલગ અલગ દવાખાને ચાલુ હતી અને માનસિક બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શનાળા ઓવર બ્રિજ નીચે સામસામે મારામારી
મોરબીના પ્રવેશદ્વાર સમા શનાળા ગામ પાસે આવેલા ઓવરબ્રિજ નીચેના ભાગે મારામારીનો બનાવ બન્યો હતો.આ સામસામે મારામારીના બનાવમાં રણજીત હસનસિંગ (25) અને અજીતસિંગ શ્રીરામવીરસિંગ (30) રહે.બંને ગોકુળનગર શનાળા-કંડલા બાયપાસ વાળાઓને તેમજ સામેના પક્ષેથી રાજુ ધરમશી જાંબુકિયા (27) અને કવિતાબેન રાજુભાઈ જાંબુકિયા (24) રહે.બંને ગોકુલનગર શનાળા- કંડલા બાયપાસ વાળાઓને ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને સરકારી હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા અને આ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ મારામારીના આ બનાવની તપાસ કરી હતી.
વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં
મોરબી તાલુકાના ખાખરડા ગામના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના નવલખી રોડ તરફ જવાના રસ્તે આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં ખાખરાળા ગામના વતની અતુલભાઇ રતિલાલભાઈ રાવલ (56) નામના આધેડને ઇજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાંથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ કરી હતી.