માતાએ ત્રણ સંતાનો સાથે આપઘાત કર્યો

માતાએ ત્રણ સંતાનો સાથે આપઘાત કર્યો
માતાએ ત્રણ સંતાનો સાથે આપઘાત કર્યો

ધુતારપર ગામમાં રહેતા દિનેશ કોટડિયાની વાડીમાં મૂળ મધ્ય પ્રદેશનો પરિવાર ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ પરિવારની સંગીતાબેન નામની મહિલાએ પોતાની મમતા (5) અને અંજલી (3) નામની બે દીકરીઓ અને 9 માસના પુત્રને કૂવામાં નાંખી દીધા હતા. જે બાદ સંગીતાબેને પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ.

આ બાબતની જાણ થતાં ગામના સરપંચે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે કૂવામાંથી એક પછી એક ચારેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

બીજી તરફ આ બાબતની જાણ થતાં પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હજુ સુધી સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ જાણવા નથી મળ્યું. હાલ તો પોલીસે નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં આવો જ એક બનાવ ગોધરામાંથી સામે આવ્યો હતો. જેમાં ગોધરા તાલુકાના કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતા વાસંતાબેન પટેલ પોતાના બે સંતાનો સાથે કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતુ.