(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૦ : ધોરાજીમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે બોલાવામાં આવી હતી
પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જણાવેલ કે રમજાન ઈદના ઝુલેલાલ જયંતિ અને મહાવીર જયંતિ તેમજ આંબેડકર જયંતિ તેમજ રામનવમી વગેરે મોટા તહેવારો જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસની કયાંય પણ જરૂર ન પડે એટલી શાંતિથી ઉત્સવ ઉજવાય એ પ્રકારની ભલામણ કરી હતી અને તમામ સમાજના લોકોએ પોલીસને સહકાર આપવા પણ ખાસ ભાર મૂકયો હતો.
વધુમાં પોલીસઇન્સ્પેક્ટર રવિ ગોધમ એ જણાવેલ કે હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાત્રિના સમયમાં નાના નાના ૧૨ થી ૧૪ વર્ષના બાળકો વેપારીઓને પરેશાન કરતા હોય તોડફોડ કરતા હોય તેવા બનાવો સીસીટીવી કુટેજમાં જોવા મળ્યા છે અને ઘણી બધી મોટી નુકસાની કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કે નાના બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે આવા બાળકોને સમજાવી લેજો નહિતર અભ્યાસના સમયમાં જ પોલીસ રેકોર્ડમાં એમની ખરાબ છાપ પડશે.
સીસીટીવી કેમેરાની અંદર આ બાળકોના કરતુતો રેકોર્ડ ઉપર આવી ગયા છે. જેથી તાત્કાલિક અસરથી આવા બાળકો સામે વાલીઓ જ ચેતી જાય તેવું પણ જણાવેલું હતું.
બેઠકમાં કોઈ સૂચન હોય તો જણાવવાનું કીધું હતું પરંતુ હિન્દુ મુસ્લિમ સમાજના બંને આગેવાનોએ કોમી એકતા ને ભાઈચારાને સાથે રાખીને બંને સમાજના તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તેવી ખાતરી આપી હતી. બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તેમજ રાજકીય પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રમણીકભાઈ મણવર દ્વારા કરવામાં આવેલું હતું.