‘તારક મહેતા’ના સોઢી 4 દિવસથી ગુમ છે

'તારક મહેતા'ના સોઢી 4 દિવસથી ગુમ છે
'તારક મહેતા'ના સોઢી 4 દિવસથી ગુમ છે

લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જૂના રોશન સિંહ સોઢી વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સોઢી ઉર્ફે ગુરચરણ સિંહ ગુમ છે. અભિનેતાના પિતા હરગીત સિંહે મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે, ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેમણે પોલીસને તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા છે, જેથી તેઓ ગુરચરણને શોધવામાં મદદ કરી શકે. પોલીસે ખાતરી આપી છે કે તેઓ ગુરચરણને વહેલી તકે શોધી લેશે. તેમના પિતા મુજબ, ગુરુચરણ સિંહ સોમવારે દિલ્હી એરપોર્ટ જવા ઘરેથી નીકળ્યા હતા, તેઓ મુંબઈ જઈ રહ્યા હતા. પરંતુ ના તો તેઓ મુંબઈ પહોંચ્યા અને ના તો ઘરે. 

ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢીના પિતા હરગીત સિંહે કહ્યું- SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરણને જલ્દી શોધી લેશે. મને આશા છે કે ગુરચરણ ઠીક છે અને તે ખુશ છે. તે હવે જ્યાં પણ છે, ભગવાન તેને આશીર્વાદ આપે. અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પિતાએ કહ્યું કે, હવે તે ઠીક છે અને ઘરે આરામ પર છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. પરંતુ દરેક વ્યક્તિ સકારાત્મક વિચારો સાથે ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુરચરણ સિંહના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ 25મી એપ્રિલે નોંધવામાં આવી હતી.

ગુરચરણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. પ્રેક્ષકોને તેમની બોલવાની રીત ખૂબ પસંદ આવી. તે જે ફની રીતે તેમના ડાયલોગ્સ સંભળાવતા હતા તેના દરેક લોકો ફેન હતા.

ગુરચરણ તેમના પાત્રથી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયા હતા. એટલું જ નહીં ગુરચરણના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા.

તારક મહેતા શો’નો હાલ ભાગ નથી : 
એક સમય એવો આવ્યો કે તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો. શોની સાથે તેમણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું. તેમને તેની માતાની બીમારીની થોડી ચિંતા થવા લાગી. મુંબઈ છોડીને પંજાબમાં સ્થાયી થયા.

જ્યારે ગુરચરણે શો છોડ્યો ત્યારે સમાચાર આવ્યા કે અસિત કુમાર મોદીએ તેમનો પૂરો પગાર ચૂકવ્યો નહોતો. તેમણે ઘણા પૈસા રોકી રાખ્યા છે. આ ઉપરાંત, બંને વચ્ચે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ, જેના કારણે ગુરચરણે શો છોડી દીધો.