રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલના માતા-પિતાને મરવા મજબુર કરનાર
રાજકોટનો વ્યાજખોર દિવ્યેશ ડવને એલસીબી ઝોન-1 ની ટીમે ઝડપી પાડ્યો હતો. ગઈ તા.30 ના કોન્સ્ટેબલ મિલન ખૂંટના માતાપિતાએ ટંકારાના છતર ગામ પાસે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં વ્યાજખોર અશ્વિન મારૂ અને દિવ્યેશ આહીર વિરૂદ્ધ મરવા મજબુર અને મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે હાલ રાજકોટમાં 80 ફૂટ રીંગરોડ પર ભક્તિ સાનિધ્યમાં રહેતાં મૂળ હડાળા ગામના વતની મિલનભાઈ નિલેશભાઈ ખુંટ (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અશ્વિન રાવત મારૂ અને દિવ્યેશ આહીર (માધવ ઇલેક્ટ્રોનિકસ) નું નામ આપતાં ટંકારા પોલીસે આઇપીસી 306,506, 507 અને મનીલેન્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં કોન્સ્ટેબલ તરીકે છેલ્લા પાંચક વર્ષથી ફરજ બજાવે છે. તેમના પિતા નિલેશભાઈ મનસુખભાઇ ખુંટ અને માતા ભારતીબેન જેઓ હડાળા ગામે રહેતા હતા.
ગઈ તા.30/04/2024 ના બપોરના સાડા ત્રણ વાગ્યે તેઓ ફરજ ઉપર રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીની ઓફીસે હાજર હતાં ત્યારે તેમના પિતાના મોબાઈલ પરથી ફોન આવેલ અને રાજકોટ સરકારી હોસ્પિટલમાંથી કોઈ નોકરી કરતા અજાણ્યા વ્યક્તીએ કહેલ કે, તમારા માતા-પિતાને 108 મારફતે અત્રેના સરકારી દવાખાને સારવારમા લાવેલ છે અને તેમને ઝેરી દવા પિધેલ છે તો તમે અહીં આવો વાત કરતા તે તેમની મંગેરત અને કાકા- કાકી સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયેલ ત્યાં જઈને જોયુ તો તેના માતાપિતા બન્ને મરણ ગયેલ હાલતમાં હતાં અને તબીબોએ બન્ને ઝેરી દવા પીવાના કારણે મરણ ગયેલ હોવાનુ જણાવેલ હતુ.
દરમિયાન ટંકારા પોલીસ આવી જરુરી કાગળની કાર્યવાહી કરી લાશનુ પી.એમ કરાવેલ હતુ.
વધુમાં ફરિયાદીએ ઉમેર્યું કે, તેમના પિતા નિલેશભાઈ ખુંટએ અગાઉ સાતેક વર્ષ પહેલા સબમર્શિબલ પંપનુ કારખાનું રાજકોટમાં કરેલ હતું. કારખાનામાં આર્થીક નુકશાની જતા તેઓએ એકાદ વર્ષ પહેલા પૈસાની જરુરત પડેલ હોય જેથી તેઓએ ગેરકાયદેસર નાણા વ્યાજે આપનાર અશ્વિન મારુ પાસેથી ત્રણ ટકા લેખે રૂ.4 લાખ લીધેલા હતા અને જેના વ્યાજના દર મહિને રૂ.12 હજાર ચુકવતા હતા. તેમજ દિવ્યેશ આહીર (માધવ ઇલેક્ટ્રોનીક્સ) પાસેથી ત્રણ ટકા લેખે રૂ.50 હજાર વ્યાજે લીધેલ હતા. જેના વ્યાજના દર મહિને રૂ..1500 ચુકવતા હતા. તેની જાણ તેમના માતા-પિતા બન્નેએ કરેલ હતી.
તેમના પિતા બન્ને માણસોને સમયસર વ્યાજના પૈસા ચુકવતા હતા.જે વાત તેમના પિતા અવાર-નવાર તેઓન પાસે આવે ત્યારે કરતા હતા. જેથી તેઓને ત્યારે કહ્યું હતું કે, ગેરકાયદેસર રુપીયા વ્યાજે આપતા શખ્સો તમને દબાવતા હોય અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોયતો તેમના વિરુધ્ધ તમે ફરીયાદ કરી નાખોનું કહેતાં તેમના પિતા કહેતા કે, આપણે સમાજમા આબરૂ હોય અને આ લોકોને આપણે મકાન વેચીને પણ વ્યાજ સહિત તેઓની રકમ ચુકવી આપીશુ તે લોકો વિરુધ્ધ હાલ ફરીયાદ નથી કરવી. તેમ કહી ફરીયાદ કરવાની ના પાડતા હતા.
બાદમાં વ્યાજખોરો તેમના માતા-પિતા પાસે હડાળા ગામે રૂબરૂ અને ફોન ઉપર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અને તેઓને માનસીક દુખ-ત્રાસ આપતા હતા. જેના માનસીક દુ:ખ ત્રાસના કારણે તેના માતા-પિતાએ છત્તર ગામે તા.30/04/24 ના બપોરના બે વાગ્યાની આસ-પાસ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી રાજકોટ એલસીબી ઝોન- 1 ના પીએસઆઈ બી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે કોન્સ્ટેબલ રવિરાજ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસ મથકના ગુનાના આરોપી વ્યાજખોર દિવ્યેશ પરબત ડવ (ઉ.વ.40),(રહે. સુખરામનગર શેરી નં.5, હરિધવા રોડ) ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક વ્યાજખોરને પકડવા ટંકારા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.