આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે: સ્કાયમેટ

આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે: સ્કાયમેટ
આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે: સ્કાયમેટ

♦ ગુજરાત સહિત દેશના પશ્ચિમ, દક્ષિણ અને ઉતરપશ્ચિમાં ચોમાસુ ભરપુર: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રમાં પાણી પાણી થશે

 દેશમાં હવે જૂન માસથી પ્રારંભ થનારા નેરૂત્યના ચોમાસા અંગે એક બાદ એક સારા-સમાચાર આવવા લાગ્યા છે અને દેશની ખાનગી હવામાન એજન્સી ‘સ્કાયમેટ’ દ્વારા ચોમાસુ સામાન્ય રહેશે તેવી આગાહી કરી છે. દેશ એક તરફ ફુગાવા સામે લડી રહ્યો છે તે સમયે આ આગાહી રાહતની આશા આપશે.

જૂનથી સપ્ટેમ્બર દેશના 80% થી વધુ ભાગોમાં વરસાદ લાવતા આ નેરૂત્યના ચોમાસા માટે સ્કાયમેટ દ્વારા લાંબા ગાળાની 102% એવરેજ આપી છે. 96થી104% વચ્ચે વરસાદ પડે તો ચોમાસુ સામાન્ય અને સંતોષકારક ગણાય છે. અગાઉ જ જાહેર થયુ હતું કે ભારતીય ચોમાસા પર અલનીનોનો પડછાયો નથી અને લા-નીનાના કારણે ચોમાસુ સારૂ રહેશે.

લા-નીનાના પ્રભાવમાં ચોમાસુ શક્તિશાળી બની રહે છે. સ્કાયમેટના મેનેજીંગ ડીરેકટર જતીન સિંઘે આજે આ પ્રથમ સતાવાર રિપોર્ટ બહાર પાડયો હતો. હવે આ માસના મધ્ય બાદ ભારતનું હવામાન ખાતુ નેરૂત્યના ચોમાસા અંગે પ્રથમ સતાવાર આગાહી કરશે.

સ્કાયમેટના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ અને ઉતર પશ્ચિમમાં પુરતો વરસાદ પડશે અને રેઈનફીડ ઝોનમાં આવતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જયાં ગત વર્ષ ઓછા ચોમાસાના કારણે અનેક ભાગોમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યાં પણ પુરતો વરસાદ પડશે.