ચૂંટણીના કારણે સૌથી લાંબો સમય કામોને બ્રેક થશે પૂર્ણ:હવે સરકારથી માંડી પાલિકા સુધી બેઠકોની શ્રૃંખલા ફરી થશે શરૂ
લોકસભાની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઈ છે ત્યારે હવે આજથી તા. 6ના સાંજે સૌથી લાંબી આચારસંહિતા પૂર્ણ થશે.આ સાથે જ મ્યુનિ. કોર્પોરેશન સહિતની સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ લોકોના કામો, નવા પ્રોજેકટ સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ થઇ જશે.
દરેક સરકારી કચેરીમાં નવા કામોની મંજૂરી, ટેન્ડર સહિતની પ્રક્રિયા, નીતિ વિષયક નિર્ણયો અટકી ગયા હતા. નવું નાણાંકીય વર્ષ શરૂ થયું અને નવા કામો શરૂ થાય તે પૂર્વે સમગ્ર વહીવટી તંત્ર ઠપ્પ થયું હતું. સચિવાલયથી માંડી ગ્રામ પંચાયત સુધી ચૂંટાયેલા લોકોની સુવિધા અને સત્તાઓ જમા કરાવી લેવામાં આવી હતી. દરમ્યાન આજે તા.6ના સાંજે ચૂંટણી આચારસંહિતા ઉઠી જશે. શુક્રવારથી મ્યુનિ. કોર્પોરેશન, જિલ્લા પંચાયત, અલગ અલગ જિલ્લાની તાલુકા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી બોડી બેસી જશે.
વહીવટી તંત્ર નવા કામોના આયોજન અને દરખાસ્ત કરી શકશે. અઢી મહિનાથી કોઇ નવા કામ શરૂ કે મંજૂર થયા ન હોય હવે સરકાર કક્ષાએ તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ તા.7થી ધમધમતી થશે.રાજકોટ કોર્પો.માં નવું બજેટ મંજૂર થયા બાદ અમલવારી પૂર્વે જ આચારસંહિતા આવી જતા નવા વર્ષના કામો શરૂ નથી થયા. દોઢસોથી વધુ ટેન્ડર પ્રસિધ્ધ થવાની પ્રતિક્ષા છે.