હાલમાં જ કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોઈ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજુરી ન આપવી તે તેને સન્માન સાથે જીવવાના અધિકારથી વંચિત રાખવા જેવું છે.
આ સાથે જ કોર્ટે સખ્ત ટિપ્પણી કરી હતી કે, કોઈ દુષ્કર્મીના બાળકને જન્મ આપવા માટે પીડિતાને મજબૂર ન કરી શકાય. ન્યાયમૂર્તિ કૌસર એડપ્પાગથે કહ્યું હતું કે, મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એકટ (એમટીપી એકટ)ની જોગવાઈ અનુસાર, પીડિતાને દુષ્કર્મીના બાળકનો જન્મ દેવા માટે મજબૂર ન કરી શકાય કે જેણે તેને આટલી મોટી યાતના આપી છે.
કોર્ટે જણાવ્યું હતું કે, જો મહિલાને જબરદસ્તીથી બાળકનો જન્મ દેવા માટે મજબૂર કરવામાં આવે તો તેની સાથે ટ્રોમા થઈ શકે છે. ન્યાયમૂર્તિ એડપ્પાગથે પોતાના નિર્ણયમાં લખ્યું કે, એમટીપી એકટની જોગવાઈ 3(2)માં જોગવાઈ છે કે જો ગર્ભ ચાલુ રાખવાથી ગર્ભવતી મહિલાના શરીર કે માનસિક સ્વાસ્થ્યને ગંભીર ક્ષતિ પહોંચે છે તો ગર્ભને સમાપ્ત કરવામાં આવી શકે છે.