‘વેલકમ’ સીરીઝનો ત્રીજો ભાગ બની રહ્યો છે પરંતુ તેમાં ઉદય અને મજનુભાઈના આઇકોનિક રોલ કરનારા નાના પાટેકર અને અનિલ કપૂરની જગ્યાએ હવે ફિલ્મી દુનિયાના મુન્નાભાઈ અને સર્કિટ એટલે કે સંજય દત્ત અન અર્શદ વરસી ગોઠવાઈ ગયા છે.
મૂળ ‘વેલકમ’ અને પછી ‘વેલકમ બેક’માં પણ ઉદય શેટ્ટી અને મજનુભાઈની ભૂમિકા નાના પાટેકર અને અનિલ કપૂરે બહુ અફલાતૂન રીતે ભજવી હતી. જોકે, હવે ત્રીજા ભાગમાં આ બંને પીઢ કલાકારોની જગ્યાએ સંજય દત્ત અને અર્શદ વરસીને સાઈન કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જ્યારે અક્ષય કુમાર પોતાની મૂળ ભૂમિકામાં યથાવત રહેશે.
ફિલ્મ નિર્માતા આ ફિલ્મમાં વધુ એક વખત નાના પાટેકર અને અનિલ કપૂરને જ રીપીટ કરવા માગતા હતા. જોકે, ફી બાબતે કલાકારો અને નિર્માતા વચ્ચે મતભેદ થયો હતો. આખરે, નિર્માતાએ હવે નવી જોડી અજમાવવાનું નક્કી કર્યું છે.
આ ચર્ચાોના મિશ્ર પ્રત્યાઘાત સાંપડી રહ્યા છે.
સંખ્યાબંધ ચાહકોનું માનવું છે કે નાના પાટેકર અને અનિલ કપૂર જેવો જાદુ બીજા કોઈથી થશે નહીં. જોકે, કેટલાક ચાહકોને આશા છે કે સંજય દત્ત અને અર્શદ વરસીએ જે રીતે ‘મુન્નાભાઈ’ સીરીઝમાં ધૂમ મચાવી છે તે રીતે તેઓ આ ફિલ્મમાં પણ જીવ રેડી દેશે .
ફિલ્મનું શૂટિંગ હજુ આવતા વર્ષે શરુ થાય તેવી ધારણા છે.