અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળતા વધુ કમોતના ત્રણ બનાવો નોંધાયા હતા. જેમાં બાબરાનાં મોટા દેવળીયામાં પ્રૌઢનું હેમરેજથી, ઘોબામાં યુવતિનું એસીડ પી જતા, તેમજ લાઠીમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત નિપજ્યુ હતું.
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે કિશોરભાઇ ભનુભાઇ વાછાંણી (ઉ.વ.૪૨) વાડીએ સાંજના ૭:૧૫ બળદને નીરણ નાખવા ગયેલ હોય, ત્યારે ચક્કર આવતા પડી જતા ગમાણ પાસે પથ્થર હોય. જે માથાના પાછળના ભાગે વાગતા માથામાં હેમરેજ થવાથી મોત નિપજ્યાનું જગદીશભાઇ ભનુભાઇ વાંછાણીએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જ્યારે બીજા બનાવમાં સારવકુંડલા તાલુકાના ઘોબા ગામે રહેતી પારૂલબેન જયસુખભાઇ બારૈયા (ઉ.વ.૨૨)ને તેની માતાએ કામ અંગે ઠપકો આપતા પોતે પોતાની મેળે એસીડ પી જતા પ્રથમ ગારીયાધાર ગોકુળ હોસ્પિટલ અને વધુ સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જયસુખભાઇ બાબુભાઇ બારૈયાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જ્યારે ત્રીજા બનાવમાં લાઠી ખોડીયાર નગરમાં રહેતા કમલેશભાઇ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.૧૯) કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજ્યાનું ભરતભાઇ ભીમજીભાઇ ચૌહાણે લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.