ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત, 746 લોકોના થયા હતા મોત, જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત, 746 લોકોના થયા હતા મોત, જાણો સમગ્ર ઘટના
ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત, 746 લોકોના થયા હતા મોત, જાણો સમગ્ર ઘટના

ટાઇટેનિક દુર્ઘટના ઇતિહાસના પાનામાં એક ઘટના તરીકે નોંધાયેલ છે જે આવનારા અનેક વર્ષો સુધી યાદ રહેશે. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે તેનો કાટમાળ પણ ઘણા વર્ષો પછી મળી આવ્યો હતો. ટાઈટેનિક દુર્ધટના 14 અને 15 એપ્રિલ 1912ના રોજ બની હતી. તેવી જ ઘટના ગુજરાતમાં પણ બની હતી, જેમાં 746 લોકોના મોત થયા હતા અને જહાજ પાણીમાં ડુબી ગયું હતું.

ટાઇટેનિકનું નામ સાંભળતા જ તેના અકસ્માત સાથે જોડાયેલી વાતો તમારા મગજમાં આવી જાય છે. લોકો વારંવાર વિચારે છે કે જ્યારે ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે શું થયું હશે અને અકસ્માત કેવી રીતે થયો હશે. અકસ્માત એટલો ખતરનાક હતો કે તેનો કાટમાળ પણ અકસ્માતના 75 વર્ષ બાદ મળી આવ્યો હતો. ટાઈટેનિક સાથે થયેલી આ ભયાનક દુર્ઘટના વિશે ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું, પરંતુ લગભગ 110 વર્ષ પછી પણ ઘણા રહસ્યો સામે આવ્યા નથી. તે રહસ્યો હજુ પણ એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટેનિક સાથે દટાયેલા છે. ગુજરાતમાં બનેલી ટાઈટેનિક જેવી ઘટના જાણતા પહેલા તમારે ટાઈટેનિકની ઘટના કેવી રીતે બની તે વિશે જાણવું જરૂરી છે.

1912ની 14મી એપ્રિલના રોજ જહાજ ટાઇટેનિકે એટલાન્ટિક મહાસાગરમાં જળસમાધિ લીધી. વિશ્વની મોટી દુર્ઘટનાઓની વાત થાય ત્યારે ટાઇટેનિકની વાત અચૂક થાય છે. જો કે ટાઇટેનિકના અઢી દાયકા પહેલાં ગુજરાતમાં માંગરોળના દરિયાકાંઠે વીજળી નામનું જહાજ ડૂબી ગયેલું અને એમાં પણ 700 કરતા વધારે મુસાફરો હતા. ‘હાજી કાસમ તારી વીજળી’ કાવ્યના નામે એ દુર્ઘટના સાહિત્યમાં તો જીવંત છે, પણ ખરેખર સવાસો વરસ પહેલાં વીજળી ડૂબી ત્યારે શું થયેલુ? ચાલો તમને આજે જણાવીએ…

ટાઇટેનિક દુર્ઘટનાનો પ્રતિકાત્મક ઈમેજ

1888ની વાત છે. એ સમયે આખી દુનિયામાં પ્રવાસ માટે જહાજો હોટફેવરિટ હતા. પ્લેનની શોધ તો છેક 1903માં થવાની હતી. જહાજના સફરમાં વળી યુરોપિયન દેશો અને ગુજરાતીઓ થોડા આગળ પડતા હતા. આજે ભલે ગુજરાતનો દરિયાકાંઠો સૌથી વધારે હોય, પણ સો-સવાસો વરસ પહેલાં દક્ષિણ ગુજરાતના ઉમરગામથી લઈને કચ્છના લખપત સુધી દુનિયાભરનાં જહાજોની આવન-જાવન ચાલુ રહેતી હતી. ખંભાત જેવા એ સમયના બંદરોએ તો 84 દેશોના જહાજો પાર્ક રહેતા હતા! એ સમયમાં કચ્છના માંડવીથી ઊપડી મુંબઈ જઈ રહેલી વીજળી નામનું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. એ ઘટના આપણે ત્યાં ‘હાજી કાસમ તારી વીજળી’ કાવ્યને કારણે જાણીતી છે. વળી ગુણવંતરાય આચાર્યએ ‘હાજી કાસમની વીજળી’ નામે એ દુર્ઘટના પર નવલકથા પણ લખી છે. ચાલો એ કરુણરસથી તરબતર ઇતિહાસમાં…

શેફર્ડ કંપનીએ બનાવેલી એસએસ વૈતરણા જહાજ

લંડનમાં રહેલી શેફર્ડ કંપની જ્યાં જ્યાં બ્રિટિશરો હોય ત્યાં પોતાનો જહાજ વ્યવહાર ચલાવતી હતી. ભારતમાં પણ તેના વિવિધ જહાજો ચાલતા હતા. એ વખતે આજના જેવાં આધુનિક જહાજો નહોતા. જહાજોના નામ કંપનીઓએ ભારતની વિવિધ નદીઓ પરથી પાડેલાં… કાલિન્દી, ગોદાવરી, સાવિત્રી, ભીમા, વૈતરણા વગેરે. આજે આપણે વાત કરવાની છે, વૈતરણા (મુંબઈ પાસે એ નદી છે)ની જે વીજળી નામે જાણીતી છે. માન્યતા એવી પણ છે કે વીજળી લાઇટવાળી પહેલી આગબોટ હોવાને કારણે લોકોએ તેનું નામ વીજળી પાડેલું. જો કે એ પહેલાં પણ લાઇટ વાળી આગબોટ હતી, એટલે વીજળી નામ લોકોએ લાડમાં પાડી દીધું હોય એવું બની શકે.

શેફર્ડ કંપનીએ ઠેર ઠેર તેના એજન્ટો નીમી દીધેલા. વીજળીના મુસાફરોનું બુકિંગ એ એજન્ટો કરે, જેમ આજે ટ્રાવેલ એજન્ટો હોય છે તેમ. પોરબંદરમાં કંપનીના એજન્ટનું નામ હાજી કાસમ નુરમહંમદ હાલાઈ હતું. એમના જ નામે આજે વીજળી ઓળખાય છે અને વીજળી એની માલિકીની હોવાની પણ માન્યતા છે. 170 ફીટ લાંબી વીજળી પેસેન્જર ઉપરાંત માલ-સામાનને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હતી.

વીજળીને બ્રિટનના ગ્રેંજમાઉથ ડોકયાર્ડ ખાતે બનાવવામાં આવી હતી. એ જહાજ આ કંપનીનું પહેલું જહાજ હતું. કંપનીએ આ જહાજને ભારતનો હવાલો સોંપ્યો એટલે ગ્લાસગોથી વાયા ઇસ્તંબુલ થઈ એ જહાજ મુંબઈ આવ્યું હતું. મુંબઈ-માંડવી તેનો દરરોજનો રૂટ હતો. મુંબઈથી માંડવી પહોંચતા તેને 30 કલાક જેટલો સમય લાગતો હતો. 22 ટન કોલસો ભર્યો હોય એટલે વીજળી સરળતાથી કચ્છ-મુંબઈ-કચ્છની ટ્રીપ કરી શકતી હતી. સામાન્ય સંજોગોમાં તેમાં હજારેક મુસાફરો આવી શકે તેમ હતા. 8મી નવેમ્બર 1888એ માંડવીના દરિયામાં ઊભેલી વીજળીને જોઈ રહેલા માંડવીવાસીઓને ખબર ન હતી કે તેઓ આ આગબોટને છેલ્લી વાર જોઈ રહ્યા છે.

માંડવીથી 520 મુસાફરો આ જહાજમાં ચડેલા હતા, જેમાં 13 જાનના જાનૈયાઓ, મુંબઈ યુનિવર્સિટીમાં પરીક્ષા દેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને બીજા મુસાફરો હતા. સવારે સાડા સાતે બાવીસેક વર્ષથી જહાજો ચલાવતા અનુભવી કપ્તાન કાસમ ઇબ્રાહીમ બીજા દિવસે બપોરે દોઢેક વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચવાની હતી. મુસાફરો પોતપોતાની કેબિનમાં પહોચી ગયા હતા, લંગરો હટાવી લેવાયા હતા, એન્જિન ચાલુ થયું, ચીમનીમાંથી કાળા ડીબાંગ ધૂમાડાના ગોટાઓ આકાશમાં નિકળતા જોવા મળી રહ્યા હતા અને વીજળીએ પોતાનો પ્રવાસની શરૂઆત કરી હતી. વીજળીના મુસાફરોને ક્યાં ખબર હતી કે હજારો કિલોમીટર દૂર તેના કાળનું સર્જન થઈ ચૂક્યું હતું. દક્ષિણ ભારતમાં મેંગલોરના દરિયાકાંઠે ઊઠેલું તોફાન ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. આ બાજુ વીજળી પોતાના અંત તરફ આગળ વધી રહ્યું હતું. સવારે માંડવીથી ઉપડેલી વીજળી બપોરે દ્વારકા થઈ સાંજે પોરબંદર પહોંચેલી. અહીં જ અણસાર મળી ચૂકેલો કે દરિયો તોફાની છે.

કપ્તાન કાસમ ઇબ્રાહીમ અને તેનું વીજળી જહાજ

પોરબંદરના કાંઠેથી દોઢેક કિલોમીટર દૂર ઊભેલી વીજળીના કેપ્ટનને તોફાનની ભયંકરતાનો અંદાજ ન હતો. અહીંથી સોએક પેસેન્જર ચડવાના હતા, પણ તોફાનને કારણે તેમણે પ્રવાસમાં જવાનું બંધ રાખ્યું હતું. પરિણામે દ્વારકાથી મુસાફરો ભર્યા પછી 43 ક્રૂ મેમ્બર સાથે હવે વીજળીમાં 743 મુસાફરો હતા. પોરબંદર તો પાંચ-સાત મિનિટ જ ખોટી થઈને વીજળી રવાના થઈ ગઈ. માંગરોળના એજન્ટ જયકૃષ્ણ બાવાજીએ વીજળીને દરિયામાં પસાર થતાં જોઈ હતી. કદાચ માંગરોળમાં વીજળીનો હોલ્ટ નહીં હોય. એ પછી માધવપુર ઘેડ પાસેથી પણ પસાર થતી કેટલાકે જોઈ હોવાનું કહેવાય છે.

મતલબ કે પોરબંદરથી રવાના થયેલી વીજળી 90 કિલોમીટર દૂર માંગરોળ સુધી તો પહોંચી હતી. સામે પક્ષે મુંબઈ વીજળીની રાહ જોવાતી હતી. ખાસ તો એમાં જાનૈયાઓ હતા. વીજળીમાં આકસ્મિક સંજોગોમાં બચવા માટે લાઇફ બોટ પણ હતી જેમાં વધુમાં વધુ 200 મુસાફરો સમાઈ શકે એમ હતા. એમ તો વીજળીના તળિયે કમ્પાર્ટમેન્ટ કરેલાં હતાં (ટાઇટેનિકની જેમ જ) જેથી કોઈ કારણસર વીજળીનું પડખું તૂટે તો એક જ ખાનામાં પાણી ભરાય. બીજા ખાનાંઓ સલામત રહી જાય અને વીજળી ડૂબતી બચી જાય. ટૂંકમાં બચાવ માટેની થોડી તકેદારી તો હતી, પણ કાળને કોણ પાછું વાળી શક્યું છે, તો વીજળી વાળી શકે?

રાત પડી ગઈ હતી. વીજળીના મુસાફરો સૂવાની તૈયારીમાં હતા. મોજાં ધીમે ધીમે વધતા જઈ રહ્યા હતા. વીજળી પણ વાઇબ્રેટર પર મુકાઈ હોય એમ ધ્રૂજવાની શરૂઆત થઈ હતી. વીજળીના કોઈ મુસાફર જીવંત બચ્યા ન હતા એટલે છેલ્લી ઘડીએ શું થયેલું તેનું કોઈ સત્તાવાર નિવેદન જોવા મળ્યું નથી. માત્ર કલ્પના જ કરવી પડી છે.

વીજળી માંગરોળથી અંદાજે વીસ-પચીસ કિલોમીટર દૂર દરિયામાં પહોચી હતી. અહીં જ તેનો અંતિમ પડાવ હતો. દક્ષિણ ભારતથી રવાના થયેલું તોફાન વીજળી સામે કાળ બનીને આવી પહોંચ્યું હતું. તોફાન પોતાની રૌદ્રતા વધારતું જતું હતું. આખરે તોફાન સામે વીજળી હારી ગઈ હતી. વીજળીનો ઢાંચો તૂટવા લાગ્યો હતો. મુસાફરો બચવા માટે દરિયામાં કૂદે કે લાઇફ બોટ લઈને દૂર ભાગે એ પહેલાં જ દરિયામાં વીજળીને ક્યાંય દૂર ફંગોળી દીધી હતી. ત્યાં સુધીમાં વીજળીના તુટી ગઈ હતી અને કોઈ બચી શક્યું હોય તો પણ એ દરિયાના તોફાન સામે કેટલો સમય ઝીંક ઝીલી શકે એ મોટો પ્રશ્ન હતો.

બીજા દિવસે વીજળીનો કાટમાળ કે મુસાફરોના મૃતદેહો તો મળવા જોઈએ. વીજળી ડુબ્યા પછી તેના કોઈ અવશેષો હાથ લાગ્યા નહીં. ત્યારે આજના જેવી ટેક્નોલોજી હોય નહીં. જોકે ડૂબ્યાના ખબર મળ્યા પછી તુરંત બે બોટને વીજળીને ગોતવા માટે મોકલવામાં આવી હતી, પણ કંઈ સબૂત હાથ લાગ્યાં નહીં. વેગીલા પવનો અને ઉછળતાં મોજાંએ વીજળીને જ્યાં ફંગોળી તે જાણી શકાયું નહીં.

વીજળીની હોનારતના ખબર મળતાં જ હાહાકાર મચી ગયો હતો. મુંબઈમાં જાનની રાહ જોઈ રહેલા કન્યાઓના સેંથામાં સિંદૂર પુરાય એ પહેલાં જ સુહાગ ઊજડી ગયા હતા. કેટલાયના ઘરના મોભી છિનવાઈ ગયા. પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓનાં માતા-પિતાનાં આશા-અરમાનો પર દરિયાએ રીતસર પાણી ફેરવી દીધું. વીજળી બ્રિટિશરોની માલિકીની હતી એટલે દુર્ઘટનાના પડઘા છેક લંડનના શાહી દરબાર સુધી પડયા હતા. વીજળી કેમ ડૂબી? કોની બેદરકારી હતી? કે પછી તોફાન જ આક્રમક હતું? વગેરે સવાલોના જવાબ મેળવવા એક મહિના પછી મુંબઈમાં ‘મરિન કોર્ટ ઓફ ઇન્ક્વાયરી’ બેસાડાઈ હતી.

વીજળીમાં જરૂરિયાત કરતાં ત્રણેક ગણો કોલસો હતો. આજે પણ કોઈ જહાજ ડૂબે તો ઊંડી અને વિગતવાર તપાસ વગર ઘણી વખત સત્ય શોધી શકાતું નથી. તો પછી સવા સદી પહેલાં બનેલી ઘટના વિશે પૂરેપૂરી વિગતો મળી રહે એવું માનવું જરા વધારે પડતું છે.

બોટનો કપ્તાન હાજી કાસમ

1912માં ડૂબેલી ટાઈટેનિકનો કાટમાળ 1985માં રોબર્ટ બેલાર્ડ નામના સમુદ્રશાસ્ત્રીએ એટલાન્ટિક મહાસાગરમાંથી શોધી કાઢયો હતો. જેમ્સ કેમેરોને જગ પ્રસિદ્ધ ટાઈટેનિક પર ફિલ્મ પણ બનાવી અને અચાનક જ લોકમાનસ પરથી ભુલાઈ ગયેલી ટાઇટેનિક જાણે જીવંત બની ઊઠી. વીજળીનો ભંગાર પણ એ રીતે ન શોધી શકાય?

હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ… કાવ્ય આપણે ત્યાં લોકસાહિત્યમાં છવાયેલું છે. જો કે કાવ્યમાં સત્ય કરતાં કલ્પના વધારે છે, પણ એમાં સર્જકનો વાંક નથી. સર્જકને તો એ વખતે જે જાણકારી મળી હોય તેના આધારે તેણે કલમ ઉપાડી વીજળીની મોતની સફરને શબ્દદેહ આપ્યો હોય. કાવ્યના રચયિતા કોણ છે એ પણ જાણ મળતી નથી. પણ કરુણરસને કાવ્યમાં પૂરેપૂરો નિચોવી લેવાયો છે. બે લીટી જ આપણાં રૂવાંડાં ઊભાં કરવાં માટે પૂરતી છે. માંડવી બંદરેથી મુંબઈ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીની મૌનવ્યથા કવિએ આબાદ રીતે રજૂ કરી છે.

વીજળી અને ટાઇટેનિક વચ્ચે ઘણી સામ્યતાઓ છે. એક તો બંને ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલી. બંનેની માલિકી વળી બ્રિટિશ કંપનીઓની હતી. ટાઇટેનિક અકસ્માત વખતે ડૂબી ન જાય એ માટે તેના તળિયે 16 વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતાં. મતલબ કે કોઈ કારણસર નીચેની જગ્યામાં પાણી ઘૂસી જાય તો 16 પૈકી એક જ ખાનામાં પાણી રહે. બીજાં ખાનાંઓ બંધ હોય. પરિણામે જહાજ ડૂબે નહીં.

વીજળીમાં પણ સાત વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતાં. બંનેની જળસમાધિ પછી તપાસપંચો નિમાયેલાં. ટાઇટેનિક જોકે શાંત સમુદ્રમાં ડૂબેલી અને એ દુર્ઘટનાનું વર્ણન કરવા મુસાફરો જીવતા રહેલા. વીજળી તોફાની દરિયામાં ડૂબી અને એક પણ અવશેષ બાકી છોડયા વગર. ટાઇટેનિકમાં પણ કેટલાક મુસાફરો ઉપડયા પછી બીજા બંદરે ઊતરી ગયેલા. તો વીજળીમાં પોરબંદરથી 100 મુસાફરો ચડવાના હતા એમણે પ્રવાસ કેન્સલ કરેલો.