જંગલેશ્વર એકતા કોલોની-૮માં શાળા નં. ૭૦ પાછળ રહેતાં બે પરિવાર વચ્ચે એક પરિવારની દિકરીના અપહરણ મામલે બોલાચાલી બાદ ધોકાથી મારામારી થતાં ચારને ઇજા થતાં સારવાર લેવી પડી હતી. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે એકતા કોલોની-૮માં રહેતાં શફીકભાઇ રજાકભાઇ શેખ (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથ કાનો ઉર્ફ ભગર વાજદઅલી ઓસીલ શેખ, બોનસઅલી ઉર્ફ લાલો વકીલ શેખ અને કમુ વાજીદઅલી શેખ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
સામા પક્ષે બોનસઅલી ઉર્ફ લાલો વકીલ શેખ (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી રફીક રજાકઅલી શેખ, શફીક રજાકભાઇ શેખ, અરબાઝ રજાકભાઇ શેખ અને નુરજહા રજાકભાઇ શેખ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. શફીકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી બહેનનું અપહરણ થયું હોઇ મારા માતાએ સામેવાળા કમુબેન શેખને જઇને કહેલું કે તમારી દિકરીએ ફોનની આપ લે કરી છે જેથી મારી દિકરીનું અપહરણ થયું છે. આ સાંભળી કમુબેન સહિતના ઝઘડો કરી ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં મને ડાબા હાથના કાંડામાં ફ્રેકચર થઇ ગયું હતું. જ્યારે બોનસઅલી ઉર્ફ લાલાએ જણાવ્યું હતું કે મારા કાકા અને કાકીને સામેવાળા રફીક સહિતના સમજાવવા ગયેલા કે તમારી દિકરીના અપહરણમાં અમારી દિકરીનો કોઇ રોલ નથી. આ સાંભળી તે લોકોએ ઉશ્કેરાઇ જઇ ધોકાથી હુમલો કરતાં મને તથા મારા કાકાને ઇજા થઇ હતી.