બોટાદમાં તો પૂર્વમંત્રી સૌરભ પટેલની હાજરીમાં હજારો લોકોનાં ટોળા બન્યા બેફામ
મંત્રીઓ કહે છે કે નિયમો પાડો નહીંતર ત્રીજી લહેર આવશે, પણ પોતાના જ કાર્યક્રમોમાં નિયમોને અભેરાઈ એ ચડાવ્યા છતાં બધા મૌન
ગુજરાતમાં કોરોના અને તેના નવા રૂપ ઓમિક્રોનનાં વધતા જતા કેસો છતાં જાહેર કાર્યક્રમો અને ખાસ કરીને ભાજપ તથા સરકાર પ્રેરિત કાર્યક્રમોમાં પ્રચંડ ભીડ ઉમટી રહી છે. એ સમયે જવાબદાર મંત્રીઓની કહેણી અને કરણીમાં આકાશ પાતાળનો ફેર દેખાઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આમ જનતાને કોરોનાનાં નિયમોનું પાલન કરવાની મંત્રીઓ અને ભાજપનાં નેતાઓ જોરજોરથી તાકીદ કરી રહ્યા છે. પરંતુ પોતાના જ પક્ષનાં કાર્યક્રમમાં જોવા મળેલા કોરોના પ્રોટોકોલનાં ધજાગરા સામે મોઢે તાળા મારીને બેસી ગયા છે.
આવા વિરોધાભાષી વલણને કારણે સામાન્ય જનતા પણ ભાજપનાં કાર્યક્રમોની તસ્વીરો જોઇને માસ્કનો ત્યાગ કરતી દેખાઈ રહી છે અને સરવાળે રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલનો અમલ રોજેરોજ ઓછો થતો દેખાઈ છે.
તાજેતરમાં એટલે કે છેલ્લા બે દિવસમાં જ ભાજપ નેતાઓ અને સરકારનાં મંત્રીઓની હાજરીમાં યોજાયેલા બે કાર્યક્રમોને કારણે કોરોના નિયમોનો મામલો ફરી એકવાર ચર્ચાનો ધગધગતો વિષય બની ગયો છે.
કેમકે સરકાર અને મંત્રીઓ આમ જનતાને તો કોરોના નિયમ અનુસરવાની સુફિયાણી સલાહ આપે છે. પણ એમના પોતાના કાર્યક્રમોમાં ખુલ્લે આમ કોરોના નિયમોનો જનાજો નીકળતો રહે છે.
ત્યારે પોતાના જ પક્ષનાં કાર્યકરો પાસે નિયમ પાલન કરાવવામાં નિષ્ફળ રહેલા ભાજપ નેતાઓ અને કાર્યકરોનો દંભ તથા બેવડા ધોરણે ઉડીને આંખે વળગે છે.વઢવાણમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોરોના પ્રોટોકોલનાં એક પણ નિયમનું પાલન થયું દેખાયું ન હતું.
કાર્યકરો તો ઠીક નેતાઓ પણ માસ્ક પહેર્યા વિના મંચ પર બિરાજમાન થઇ જતા દેખાયા છે. કાર્યકરો સામાજીક અંતરને ભૂલીને પ્રચંડ ભીડ ઉભી કરે છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ બેકાબુ ન બને તો બીજું શું થાય? પણ નેતાઓ જ નિયમો અનુસરતા ન હોય તો કાર્યકરોને પણ નિયમનો ઉલાળિયો કરવાનું સુરાતન ચડી જાય એ સ્વાભાવિક છે.
ગઈકાલે બોટાદમાં તો હદ થઇ ગઈ. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ત્યારે હજારોની ભીડ ઉમટી હતી અને બેકાબુ બની ગઈ હતી. માસ્ક અને સામાજીક અંતરનાં નિયમો પગ નીચે રગદોળાઈ ગયા હતા.
આવા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી સૌરભ પટેલ હાજર હતા. છતાં ગજબનાક ભીડ ભેગી થઇ હતી અને કોરોના નિયમોનું સરાજાહેર ઉલંઘન થતું જોવા મળ્યું હતું. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોડી રાત સુધી મંત્રી હાજર હતા, પોલીસ અધિકારી પણ હાજર હતા.
છતાં કોરોના નિયમોનું કોઈએ પાલન કર્યું ન હતું. આવી રીતે વડોદરામાં મંત્રી મનિષા વકીલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર કોઈએ માસ્ક પહેર્યા ન હતા. વઢવાણમાં ભાજપ દ્વારા યોજાયેલા એક સન્માન સમારંભમાં પણ કોરોના નિયમો અવગણનાંનાં ખૂણામાં લપાઈને આંસુ સારતા દેખાયા હતા.
મહેસાણામાં યોજાયેલી ભાજપની એક રેલીમાં પણ નેતાઓ તથા કાર્યકરોનાં ઘૂઘવતા માનવ મહેરામણમાં કોરોના નિયમોનાં ધજાગરા ઉઠ્યા હતા. આવા કાર્યક્રમો સતા પક્ષ દ્વારા યા એમના થકી યોજાઈ છે. તેમાં નિયમ પાલન કરાવાતું નથી અને લોકોને ઉપદેશ આપવામાં આવે છે.
Read About Weather here
આવા દેખીતા દંભને કારણે જ લોકો પર મંત્રીઓની સલાહ સૂચનોની કોઈ અસર થતી નથી. લોકોને એવું લાગવા માંડ્યું છે કે, ભાજપને જ મોટી-મોટી ભીડ એકઠી કરવાનો પીળો પરવાનો મળ્યો છે. જેમાં પોલીસ પણ મૂંગી મંતર થઈને બેઠી રહે છે. શું આવા કાર્યકરો કોરોનાને સીધો આમંત્રણ નથી?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here