ગુજરાતનાં 15 ટકા પાટીદાર મત માટે જબરી રાજકીય ખેંચાખેંચી

ગુજરાતનાં 15 ટકા પાટીદાર મત માટે જબરી રાજકીય ખેંચાખેંચી
ગુજરાતનાં 15 ટકા પાટીદાર મત માટે જબરી રાજકીય ખેંચાખેંચી

ભાજપનાં 6 સાંસદોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત; રાજ્યમાં પાટીદારો સામે થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત

મોહન કુંડારીયા સહિતનાં સાંસદોની મુખ્યમંત્રી સાથે સૂચક બેઠક બાદ રાજ્યભરમાં રાજકીય અનુમાનો અને અટકળોનો પ્રારંભ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હવે સાવ ઢુંકડી આવી ગઈ છે. ત્યારે પોતપોતાની મત બેંકને મજબુત રાખવા માટે અને રીઝવવા માટે ટોચનાં સતાધારી પક્ષ દ્વારા જોરદાર રાજકીય ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતનાં ચૂંટણી રાજકારણને લાગે વળગે છે ત્યાં સુધી પાટીદારોનાં કુલ 15 ટકા મતો છે. એટલે આ મત બેંકને પોતાના છાબડામાં રાખવા માટે અને 15 ટકામાંથી મહતમ ભાગ હાંસલ કરવા માટે ભાજપ દ્વારા તરેહ-તરેહનાં આયોજનો શરૂ કરવામાં આવ્યા છે. એ દિશામાં પ્રથમ પ્રયાસ રૂપે ભાજપનાં 6 સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એક ખાસ બેઠક યોજી હતી.

આ બેઠકને પગલે જાતજાતની રાજકીય ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે અને રાજકીય નિરીક્ષકો એવો અભિપ્રાય આપી રહ્યા છે કે પાટીદાર મત બેંક પોતાના ખિસ્સામાં સેરવવા ભાજપે જોરદાર પ્રયત્નો અત્યારથી આરંભી દીધા છે. આગામી દિવસોમાં ઘણા બધા નવા આયોજનોમાં રાજકિય દિશા નક્કી કરી શકે છે.

આજે રાજકોટનાં ભાજપનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, પોરબંદરનાં ભાજપનાં સાંસદ રમેશભાઈ ધડુક સહિતનાં ભાજપનાં 6 સાંસદો મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતે મળ્યા હતા અને પાટીદારોનો અણઉકેલ પ્રશ્ર્નો અંગે રજુઆતો કરી હોવાનું આધારભૂત સુત્રો તરફથી જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી સમક્ષ સાંસદોએ એવી રજૂઆત કરી છે કે, કિસાન આંદોલન દરમ્યાન રાજ્યમાં ખેડૂતો પર થયેલા કેસો રાજ્ય સરકારે તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઈએ. મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકિય રીતે ખૂબ સૂચક માનવામાં આવતી આ બેઠકમાં પાટીદાર સમાજને લગતા ઘણાબધા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થઇ હોવાનું કહેવાય છે. વોટ બેંક તરીકે સક્ષમ પાટીદાર સમાજની પાયાની લાગણીઓ ભાજપ સાથે જોડાઈ હોવાનું સાંસદો કહી રહ્યા છે અને એ મુદ્દા પર ભાર મુકીને મુખ્યમંત્રી સમક્ષ ભાજપનાં તમામ પાટીદાર સાંસદોએ રજુઆતો કરી છે.

બેઠક બાદ સાંસદ મોહન કુંડારીયાએ એવો સંકેત અપાયો હતો કે, મુખ્યમંત્રી હકારાત્મકતા સાથે ટૂંક સમયમાં અમારી માંગણીઓ અંગે નિર્ણય લેશે એવી અમને આશા છે. આ બેઠક પછી ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો વધી જવા પામ્યો છે. આગામી દિવસોમાં પાટીદાર અને ભાજપ સંબંધો અવનવા રાજકિય હવામાનનું સર્જન કરી શકે છે અને રસપ્રદ રાજકીય ઘટનાઓ બની શકે છે. એવું ભાજપને નજીકથી જાણનારા રાજકીય પંડિતોનું માનવું છે. અત્યારે તો પાટીદારોની નેતાગીરીને લાગે વળગે છે ત્યાં સુધી જે નેતાઓ બિનરાજકીય રીતે સક્રિય છે અને સમાજનાં ઉત્કર્ષ તરફ જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે એ નેતાઓ હાલ કોઈ રાજકીય સંકેત સ્પષ્ટપણે આપી રહ્યા નથી.

Read About Weather here

એક સમયે આ આખી મજબુત વોટ બેંક કોંગ્રેસનાં પલળામાં હતી પરંતુ મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી રાજકીય સમીકરણો બદલાતા રહ્યા છે. કોંગ્રેસનાં હાથમાંથી મોટાભાગની પાટીદાર વોટ બેંક સરકી ગઈ છે. કોંગ્રેસ પણ પાટીદારોનાં મનામણા કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને સૌરાષ્ટ્રનાં એક વગદાર પાટીદાર નેતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જો કે આ નેતાએ પક્ષીય વફાદારી અંગે હજુ મગનું નામ મરી પાડ્યું નથી અને સાવચેતીથી પોતાના રાજકીય પત્તા અને સોગઠા ગોઠવી રહ્યા છે. અગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ બની જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here