સાધુ વાસવાણી રોડ પર વાણિજ્ય હેતુનાં બાંધકામની સાથે-સાથે ઘણીબધી હોસ્પિટલ છે, એવા તથ્ય વગરનાં બહાના ન કરો: ભાનુબેન સોરાણી
રાજકોટમાં આરોગ્યની કથળતી જતી સ્થિતિ વચ્ચે માત્ર એક બિલ્ડરને ખટાવવા પુરતો હેતુફેર કરવાનો કારસો ભાજપે રચી કાઢ્યો છે: મહેશ રાજપૂતનો આક્ષેપ
રાજકોટ શહેરમાં ભારે વિવાદાસ્પદ બનતી પ્લોટ નં. 407 નાં હેતુભેરની દરખાસ્ત, શહેરભરમાં ભારે ચર્ચા
રાજકોટ શહેરમાં રૈયા હોસ્પિટલ માટે સાધુ વાસવાણી રોડ પર અનામત રાખવામાં આવેલ કિંમતી જમીનનાં પ્લોટનો હેતુફેર કરીને વાણિજ્ય વેચાણ માટે મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં મુકાનારી સુચિત દરખાસ્તનો શહેર કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તથા કોંગ્રેસનાં અગ્રણી તેમજ શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂતે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલ હેતુ માટેનો અનામત પ્લોટ હેતુફેર કરી ભાજપનાં બિલ્ડરને ખટાવવા માટે વેચાણની દરખાસ્ત મુકવામાં આવી રહી છે અને આ રીતે શહેરીજનોને આરોગ્યલક્ષી સુવિધાથી વંચિત રાખવા ભાજપે કારસો રચી કાઢ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ભાનુબેન સોરાણી અને મહેશ રાજપૂતની સંયુક્ત યાદીમાં અનામત પ્લોટની જનરલ બોર્ડમાં મુકાનારી દરખાસ્ત બાબતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બંને આગેવાનોએ આ દરખાસ્ત પાછળની રમત ઉઘાડી કરતા જણાવ્યું છે કે, ટીપી નં. 4 – રૈયાની આખરી નગર રચના યોજના અનુસાર નંબર 407 ની 5388 ચો.મી. જમીનનો પ્લોટ હોસ્પિટલ હેતુ માટે અનામત જમીન તરીકે 1995 માં મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યો હતો. આગેવાનો ઉમેરે છે કે, આ પ્લોટ 18.00 મીટર ટીપી રોડનાં કાટખૂણે આવેલો છે. શહેરનાં અતિ વિકાસશીલ વિસ્તાર ગણાતા સાધુ વાસવાણી રોડ પર આ પ્લોટ આવેલો છે. પરંતુ મ્યુ.કમિશનરની દરખાસ્તમાં એવું જણાવ્યું છે કે, મહદંશે વાણિજ્ય હેતુનાં બાંધકામોની સાથોસાથ ઘણીબધી હોસ્પિટલ પણ અહીં આવેલી છે. આથી હેતુફેર કરાઈ રહ્યો છે.
કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યું છે કે, આ પ્લોટ તા.30/10/1993 થી પ્રારંભિક તથા તા.10/9/1995 થી આખરી મંજુર થઇ ગયેલ હોય અને 1995 થી જ અમલમાં આવેલ હોવા છતાં તેના મૂળહેતુ હોસ્પિટલ તરીકે જ રાજકોટ મનપાનાં તંત્રની નીંભરતા અને શાસકોની અણઆવડતને કારણે નિકાલ થઇ શક્યો નથી.
મ્યુ.કમિશનરની નવી દરખાસ્તમાં જણાવ્યું છે કે, આ પ્લોટમાં દબાણ ન થાય અને ઝડપથી નિકાલ કરી શકાય એ માટે વાણિજ્ય વેચાણ કરવા હેતુફેર કરાઈ રહ્યો છે. આ મુદ્દા પર ભાનુબેન અને મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે અને સીધો સવાલ કર્યો હતો કે, આવડો મોટો સિક્યુરીટી સ્ટાફ અને એસઆરપી બટાલીયન, અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ મનપા પાસે હોય ત્યારે પ્લોટ પર કોઈ કબ્જો કઈ રીતે કરી શકે? જો મનપા કમિશનરને જ આવી દહેશત સતાવતી હોય તો સામાન્ય નાગરિકોનાં પ્લોટ અને મનપાનાં અન્ય સરકારી પ્લોટની સ્થિતિ બાબતે લોકોએ શું વિચારવાનું? પ્રજાને પૈસે જંગી સુરક્ષા ખર્ચ થતો હોય ત્યારે મનપાને તેની મિલકતો સલામત લાગતી નથી એવું કહીંને મનપા શું પુરવાર કરવા માંગે છે. જનતાને જવાબ આપવો જોઈએ.
મ્યુ.કમિશનરે એવું પણ દર્શાવ્યું છે કે, મનપાને જાહેર હરરાજી દ્વારા યોગ્ય આવક થઇ શકે એવા શુભ આશયથી હેતુફેર કરવાનો થાય છે. જેથી કરીને એ નાણાંનો લોકોની સુખાકારી માટે ઉપયોગ કરી શકાય. આ દરખાસ્ત સામે કોંગ્રેસનાં આગેવાનોએ ટકોર કરી હતી કે, લોકોની સુખાકારી માટે મનપાએ અહીં આ પ્લોટ પર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવવી જોઈએ. અમદાવાદ મનપા અને અન્ય મનપાઓ પાસે પોતાની માલિકીની હોસ્પિટલો છે. પણ રાજકોટ મનપા પોતાની હોસ્પિટલ બનાવી ન શકે?
કોંગ્રેસનાં આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલ અનામત હેતુનો પ્લોટ વાણિજ્ય હેતુનાં પ્લોટમાં ફેરવીને ભાજપને આગેવાનોને ખટાવવાની દરખાસ્ત મૂકી મ્યુ.કમિશનર ભાજપનો હાથો બની રહ્યા છે.
Read About Weather here
બંને કોંગ્રેસ આગેવાનોએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં મનપાએ માત્ર આરોગ્ય કેન્દ્રો જ બનાવવાની કામગીરી કરી છે. ત્યારે મનપાએ લોકોનાં આરોગ્ય ખાતર સારી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવવી જોઈએ અને લોકોને વિનામૂલ્યે અથવા નજીવા દરે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા શુભ આશ્રય સાથે કલ્યાણકારી કામગીરી કરવી જોઈએ. પણ ભાજપનાં મળતિયા બિલ્ડરોને ખટાવવા માટે જ અનામત હેતુનો પ્લોટ વેચી મારવો ન જોઈએ. આગામી તા.19 જાન્યુઆરીનાં રોજ મનપા જનરલ બોર્ડની બેઠક મળી રહી છે. ત્યારે અનામત પ્લોટ હેતુફેરનો આ મુદ્દો ખૂબ જ વિવાદાસ્પદ બની રહે અને બોર્ડમાં કોંગ્રેસ પણ મોટાપાયે આ મુદ્દો ચગાવે તેવી પૂરી શક્યતા છે. આ પ્રકરણ શહેરનાં પ્રબુધ્ધ નાગરિકોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here