ખાલી વાતુ કરવાથી કે આયોજનો કરવાથી રાજકોટ ચોખ્ખુ ન થાય, કામ પણ કરવું પડે ચેરમેન સાહેબ…: ચર્ચા
શહેરમાંથી ન્યુસન્સ પોઇન્ટ દુર કરવાના મેયર અને સેનિટેશન ચેરમેનના ઓરતા કયારે પુરા થશે?
સેનિટેશન ચેરમેન પ્લાન બનાવતા રહ્યા અને સ્વચ્છતામાં દેશભરના 4320 શહેરોમાંથી રાજકોટ શહેરનો 11મો ક્રમે ધકેલાય ગયું. ગત વર્ષે સ્વચ્છતા માટે રાજકોટ શહેરનો છઠ્ઠો ક્રમ આવ્યો હતો
રાજકોટવાસીઓ સૌ સાથે મળીને રાજકોટને ચોખ્ખુ બનાવશે
જો મહત્વની બેઠકોમાં હો-ગોકીરો કરવાને બદલે કામમાં ધ્યાન અપાય તો એવોર્ડ ગુમાવવા ન પડે: જનરલ બોર્ડ જેવી બેઠકોમાં પણ સમજદારીને બદલે સટ્ટાસટીનું વલણ રાજકોટની અવદશા માટે કારણભૂત, શું પદાધિકારીઓ અને અધિકારીઓ ધડો લેશે ખરા?
રાજકોટને સ્વચ્છતામાં પાછળ રાખવામાં ખોરા ટોપરા જેવી કોની નીતિ?
ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાંથી રાજકોટ જેવું મહાનગર ફેંકાઈ ગયાની ઘટનાથી મનપા નાં વહીવટ અને દાવાઓની પોલ ખુલી
બહાર કચરો ફેંકનારને દંડ કરાશે તેવા નિયમો બનાવવાની ચર્ચા થતી હતી તે ચર્ચા જ રહી ગઇ
ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાંથી રાજકોટ જેવું મહાનગર ફેંકાઈ ગયાની ઘટનાથી મનપા નાં વહીવટ અને દાવાઓની પોલ ખુલી જવા પામી છે. મનપા પદાધિકારીઓ અને અધિકારીઓ તથા સ્ટાફનાં ચહેરા પર શરમનાં શેરડા ઉતરી આવે એવી આ ઘટનામાં રાજકોટ સ્વચ્છ શહેરોની યાદીમાંથી સ્થાન ગુમાવી ચૂક્યું છે.
સતત પાંચમાં વર્ષે ઇન્દૌર શહેર સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી ગયું છે અને એક જ વર્ષનાં ગાળામાં રાજકોટ આ સ્થાન ગુમાવી ચૂક્યું છે. તેના માટે જવાબદાર કોણ એ સવાલનો જવાબ બહુ આસાન છે. રાજકોટ શહેરને સ્વચ્છ અને ગંદકી મુક્ત રાખવાની જે તંત્રની જવાબદારી છે એ તંત્ર તેની ફરજમાંથી ઉણું ઉતર્યું છે એ હકીકત દિવા જેવી ચોખ્ખી બનીને બહાર આવી છે.
ગયા વર્ષે રાજકોટ દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં સુરતની સાથે સંયુક્ત બીજા ક્રમે હતું. આ વખતે ફાઈવ સ્ટાર રેન્ક પણ ગુમાવી દીધો છે. અને પોતાને સ્વચ્છ શહેર તરીકેનું બહુમાન પણ ગુમાવી દીધું છે. સમગ્ર મનપા તંત્ર માટે અને ખાસ કરીને આરોગ્ય વિભાગ માટે આ ખૂબ જ શરમજનક બીના છે. એક જ વર્ષમાં આપણું કહેવાતું વિકસિત અને સ્માર્ટ મહાનગર સ્વચ્છતાનાં રેન્કમાં આગળ વધવાને બદલે સમુળગુ આખી યાદીમાંથી બહાર થઇ જાય. ખરેખર ખૂબ જ દુ:ખદ અને પીડાદાયક બાબત છે. જવાબદાર મનપા તંત્ર સિવાય બીજું કોઈ હોય? રાજકોટનાં નાગરિકો માટે પણ રેન્કિંગ ગુમાવવાની ઘટના આત્મ નિરીક્ષણનો અવસર પૂરો પાડે છે.
સામાન્ય રીતે પ્રયાસ એવા હોવા જોઈએ કે, રેન્કિંગમાં વધુ ઉંચે ન જઈએ તો પણ આપણે રેન્ક સાવ ગુમાવી દેવો તો ન જ જોઈએ. પણ રાજકોટ માટે આવું થયું છે. જે સમગ્ર મનપા તંત્રનાં વહીવટ સામે અનેક ધારદાર સવાલો ઉભા કરે છે. મનપા નાં જવાબદાર નગર નિયોજકોએ આજથી જ એ વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે સ્વચ્છતાની દ્રષ્ટિએ ક્યાં કાચુ કપાઈ રહ્યું છે? રાજકોટ કેમ સ્ટાર રેટિંગમાંથી ફેંકાઈ ગયું છે?
Read Local News / Articles : Saurashtra , Gujarat
સ્વચ્છતાની કામગીરીમાં તંત્ર સુધારવાને બદલે કેમ દિવસે-દિવસે અધોગતિની ગર્તામાં કેમ ધકેલાઈ રહ્યું છે? આ તમામ સવાલોનાં જવાબ નાગરિકો માંગી રહ્યા છે અને મનપા સતાવાડાઓએ તેના જવાબ આપવાના રહે છે. રાજકોટને ફરીથી સ્વચ્છતાનાં રેન્કિંગમાં સ્થાન અપાવવા માટે જાગ્યા ત્યાંથી સવાર ગણીને એકડે એક થી જોશપૂર્વક પ્રયાસો શરૂ કરી સ્વચ્છતા અભિયાનને જવાબદાર તંત્ર અને સ્ટાફની રોજીંદી ટેવ બનાવવી જોઈએ. તો જ કદાચ આવતા વર્ષે આપણે 2020 ની જેમ સ્વચ્છ શહેર તરીકેની પ્રતિષ્ઠા પુન: હાંસિલ કરી શકશું. શું રાજકોટનાં પ્રથમ નાગરિક અને નગર નિયોજકોને અવાજ સંભળાશે ખરો?
રાજકોટ શહેરને ચોખ્ખું ચણાંક બનાવવું હોય તો મનપા તંત્ર દ્વારા અફલાતૂન કામગીરી કરવી જ પડશે. અધિકારીઓ – કર્મચારીઓએ શેરી – ગલ્લીઓમાં ઉતરવું પડશે. શાકમાર્કેટની આજુબાજુમાં એટલી ગંદકી હોય છે કે, ત્યાંથી રાહદારીઓને ચાલવું મુશ્કેલ બને છે. ઓફિસમાં બેસી સુંદર રાજકોટના ગાણા ગાતા અધિકારીઓ – કર્મચારીઓનો પદાધિકારીઓએ ક્લાસ લેવા જોઈએ.
મેયર અને સેનિટેશન ચેરમેન અશ્ર્વિન પાંભરે સાથે મળીને શહેરને ચોખ્ખુ બનાવવા અનેક ચર્ચાઓ અને આયોજનો કર્યા પણ રાજકોટ ચોખ્ખુ ન જ બન્યું. પદાધિકારીઓ કયાં પાછા પડયા તે વિચારવાને બદલે મોટીમોટી વાતો કરવામાં વ્યસ્ત રહયા અને પરિણામ રાજકોટને ભોગવવું પડયું. ગત વર્ષે રાજકોટ સ્વચ્છતામાં આ વર્ષથી આગળ હતું એનો મતલબ ગત વર્ષે આ વર્ષ કરતા સારી કામગીરી કરવામાં આવી હતી. એવું લોકોમાં ચર્ચાઇ રહયું છે.
શહેરમાં ભળેલા નવા વિસ્તારોમાં અધિકારીઓ – પદાધિકારીઓ ચક્કર લગાવે તો ખબર પડે કે વિસ્તારોમાં કેવી હાલત છે! અનેક વિસ્તારોમાં ટિપરવાન મોડી પહોચતી હોવાથી કચરાના ઢગલા થઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેરને ચોખ્ખું-ચણાંક બનાવવા વોર્ડના તમામ વિસ્તારોમાં સમયસર સફાઈ થવી જોઈએ. વોર્ડના કોર્પોરેટરોએ સામજીક સંસ્થાઓનો સહયોગ લેવો જોઈએ. ચૂંટણી ટાણે જેમ મીટીંગો કરાય છે તેમ અલગ – અલગ વિસ્તારોમાં મીટીંગ કરવી જોઈએ. મીટીંગમાં સ્વચ્છતા અંગે લોકોને સમજાવવા જોઈએ. જે લોકો જ્યાં – ત્યાં કચરાના ઢગલા ફેંકી જવાબદારી ખંખેરી નાખે છે તેવા લોકો સામે દંડની કાર્યવાહી કરવી જોઈએ.
Read About Weather here
મનપાના પદાધિકારીઓએ કોર્પોરેટરોને સૂચના આપવી જોઈએ કે, વોર્ડમાં મિટિંગ કરી લોકોને સ્વચ્છતા અંગે સમજાવો. કેટલા વોર્ડમાં મીટીંગ કરી તેના અહેવાલ માંગવો જોઈએ. રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવું હોય તો નક્કર આયોજન કરવું જ પડે. બધા લોકોની ફરજ છે કે મનપા તંત્રને પૂરતો સહયોગ આપવો જોઈએ. આશા રાખીએ કે આવતા વર્ષે ટોપ ટેનમાં નહિ રાજકોટ શહેરનો પ્રથમ ક્રમ આવે.(4)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here