ગુજરાતનાં યુવાધનને બરબાદ કરવાના ષડ્યંત્રનો કાયમી અંત જરૂરી

ગુજરાતનાં યુવાધનને બરબાદ કરવાના ષડ્યંત્રનો કાયમી અંત જરૂરી
ગુજરાતનાં યુવાધનને બરબાદ કરવાના ષડ્યંત્રનો કાયમી અંત જરૂરી

રાજ્યને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનતું રોકવા કડક પગલા આવશ્યક: 1600 કિ.મી. લાંબો દરિયાકાંઠો જોઇને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓની દાઢ ડળકી
ઉપલકિયા ચીલાચાલુ પગલા લેવાને બદલે મેજર ઓપરેશન હાથ ધરવું જરૂરી: શાળા-કોલેજોની આસપાસ છુપા વેશમાં પોલીસ બાતમીદારો ગોઠવવા જરૂરી: દરિયામાં શકમંદ જહાજોની બાતમી મેળવવામાં માછીમારોની મદદ ખૂબ લાભદાયક

ગુજરાતનાં 1600 કિ.મી. જેવા લાંબા દરિયાકાંઠાનો ગેરલાભ ઉઠાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયા ટોળકીઓ એકદમ સક્રિય બની ઉઠી હોય એવું તાજેતરનાં કેટલાક બનાવો પરથી ચોક્કસપણે પ્રસ્થાપિત થઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મોટાપાયે ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડવા અને ગુજરાત રાજ્યનો ડ્રગ હેરફેર રૂટ તરીકે દૂરઉપયોગ કરવાના શૈતાની અને મલીન ષડ્યંત્રો ઘડવામાં આવી રહ્યા છે.

એટલે ગુજરાત સરકાર રેડ એલર્ટ મોડમાં આવી જાય એ અતિશય જરૂરી બન્યું છે. અત્રે યાદ રાખવું જોઈએ કે વિશ્ર્વનો સૌથી મોટો નશીલા પદાર્થોનો જંગી જથ્થો કચ્છનાં મુન્દ્રા બંદરે ઝડપાયો હતો.

ત્યારે જ ઉપલકિયા પગલા લેવાને બદલે તમામ બંદરો અને ચેકપોસ્ટ પર સઘન અને વ્યાપક ચેકિંગ શરૂ કરી દેવાની જરૂર હતી. અત્યારે જે જથ્થો દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા પાસેથી ઝડપાયો છે તે બાતમીદારની બાતમીનાં આધારે પકડાયો છે.

હાઈ-વે પર પેટ્રોલિંગ ચેકિંગ થકી ઝડપાયો નથી. એ તફાવત ગૃહખાતુ અને પોલીસતંત્ર સમજી શકે છે.જો ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનતા અટકાવવું હોય તો કોઈપણ કોસ્મેટીક એટલે કે ઉપલકિયા યા ચીલાચાલુ પગલા પૂરતા થઇ પડશે નહીં.

ડ્રગ વિરોધી કામગીરીને લાંબાગાળાની ઝુંબેશમાં પરિવર્તિત કરવી જોઈએ. એ માટે બાતમીદારોનું વધુ સર્વોતમ નેટવર્ક ગોઠવવું પડશે. તમામ ચેકપોસ્ટ અને એન્ટ્રીપોઈન્ટ પર દિવસ-રાત અને 24 કલાકનું તમામ પ્રકારનાં વાહનોનું ચેકિંગ ચાલુ રાખવું પડશે.

ખેતરાઉ માર્ગોનો ગેરલાભ ઉઠાવીને ડ્રગ ટોળકીઓ અથવા પેડલર નશીલા પદાર્થો ઘુસાડી દેવામાં કામયાબ ન થાય એ પ્રકારે માર્ગોનું ચેકિંગ અને બંદોબસ્ત કરતા રહેવા પડશે. દરિયાઈ માર્ગે આવનારા ડ્રગ્સનો કેટલો જથ્થો ગુજરાતમાં ઘુસી જાય છે

અને કેટલો ગુજરાતનાં રૂટ પરથી દેશ અને વિદેશમાં પહોંચી જાય છે તેનો કોઈ અંદાજ ગૃહખાતા કે પોલીસ પાસે પણ નથી. એટલે વધુ સતર્કતા રાખવી અને નિષ્ઠાપૂર્વક લગન અને મહેનતથી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર અવિરત પેટ્રોલિંગ થતું રહે તે દિશામાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓએ પગલા લેવા પડશે.

અહીં એ કહેવું નથી પરંતુ ડ્રગ માફીયાઓનું ખતરો જોતા અહીં એ વાતનું પુનરાવર્તન કરવું પડે છે કે હાઈ-વે પેટ્રોલિંગ યુનિટ લોકોના મતે ઉઘરાણા પેટ્રોલિંગ બની ગયા છે.

એટલે એવું કહીં શકાય કે જેટલો પકડાય છે તેના કરતા અનેક ગણો વધુ ડ્રગ્સનો જથ્થો રાજ્યમાં ઘુસી જતો હશે યા આરપાર થઇ જતો હશે. અહીં પોલીસ પર દોષારોપણ કરવાનો કોઈ ઈરાદો નથી.

પણ એ સંભવ છે કે, દ્વારકામાં પકડાયેલો જથ્થો પણ હિમશીલાની ટોચ સમાન હોય શકે. અત્રે એ વાત જાણીતી છે કે અને કાયદો વ્યવસ્થાતંત્રને તો ખબર હોય જ કે ડ્રગ માફીયાઓની મોડસઓપરેન્ડી હેવી હોય છે.

જ્યાં થોડો ઘણો માલ પકડાવીને ચોક્કસ હાઈ-વે પર પોલીસને બીઝી રાખીને અન્ય માર્ગેથી બીજો મોટો જથ્થો ઘુસાડી દેવામાં આવતો હોય છે. બાતમીદારો પાસેથી બાદમાં માહિતી મળે છે પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાય છે.

આ બધા અનુભવો જોતા ડ્રગ્સનાં દુષણને મૂળમાંથી નાબુદ કરવા માટે અને ગુજરાતનાં યુવાધનને ડ્રગ્સની શૈતાની પ્રપંચ જાળમાં ફસાઈ જતું ઉગરી લેવા માટે જવાબદાર વિભાગોએ નવેસરથી મલ્ટીડાયમેન્શન વ્યૂહરચના ઘડી કાઢવી પડશે.

નહિતર આપણે આપણા કિંમતી યુવાધનને આર્થિક અને શારીરિક બરબાદીમાંથી બચાવી શકીશું નહીં. ગુજરાતમાં યુવાવર્ગને નિશાન બનાવવાની ડ્રગ્સ ટોળકીઓની મેલીમુરાદ સ્પષ્ટપણે ઉપસીને બહાર આવી રહી છે.

તરૂણવયનાં સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓ આવી ટોળકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે. એમને જાળમાં ફસાતા બચાવવાનું ખૂબ જરૂરી છે. એ માટે વાલીઓની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે.

પોતાના સંતાનનાં મોબાઈલ ચેટ પર, એમની સોબત કેવી છે તેના પર અને એમના વાણી-વર્તનમાં કોઈ ફેરફાર થઇ રહ્યા છે કે કેમ તેના પર વાલીઓએ અને શિક્ષકોએ પણ બારીક નજર રાખવાનો સમય આવી ગયો છે.

શાળા-કોલેજો સંપૂર્ણપણે ચાલુ થઇ જાય ત્યારબાદ અને જેટલી શરૂ થઇ ગઈ છે એટલી તમામ શાળા-કોલેજોની આસપાસ બાતમીદારોનું મોટું નેટવર્ક ગોઠવવાની જરૂર છે.

બંધાણી બની જતા તરૂણ કે યુવા વિદ્યાર્થીઓ સામે કડક પગલાને બદલે કાઉન્સેલિંગ કરવું જોઈએ અને વિદ્યાર્થીની મદદ લઈને એમને ડ્રગ પહોંચાડનારા પેડલર અને ડ્રગ માફીયા ટોળકીઓ સુધી પહોંચી એમનો સફાયો કરી નાખવાની વ્યૂહરચના અમલમાં મુકવી જોઈએ.

આ રીતે વૈજ્ઞાનિક ઢબે અને મનોવૈજ્ઞાનિક તરીકા અપનાવીને આપણે યુવાધનને નશાની લતમાંથી છોડાવી શકશું અને ઉગરી શકશું. સદ્દનશીબે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી યુવાન છે, તરવરીયા અને ઉત્સાહી છે, કાયદો અને વ્યવસ્થાતંત્ર નવી દ્રષ્ટિ સાથે સંભાળી રહ્યા છે.

Read About Weather here

એટલે વાલીવર્ગ અને સમાજને આશા છે કે ડ્રગ્સનાં દુષણનો આ રોગ મહામારી બને તે પહેલા તેનો અંત લાવવા પોલીસતંત્ર નવા ગૃહમંત્રીનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ જરૂર કામયાબ થશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here