સરકાર-ખેડૂતો વચ્ચે ૧૩મા રાઉન્ડની બેઠક ૨ ફેબ્રુઆરીએ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ પછી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થવા જઈ રહી છે. સરકારે ૧૩મા રાઉન્ડની બેઠક માટે ૨ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. વડાપ્રધાને શનિવારે થયેલી સર્વપક્ષીય મીટીંગમાં કહૃાું હતું કે સરકાર ખેડૂતોની સાથે વાત કરવા માટે હંમેશા તૈયાર છે. ખેડૂતોને ૨૨ જાન્યુઆરીએ જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, તે હજુ પણ યથાવત્ છે. કોઈપણ ઉકેલ વાતચીતથી જ આવવો જોઈએ. આ દરમિયાન, ગાઝીપુર અને સિંધુ બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. તકેદારીના ભાગરૂપે પોલીસે બંને સ્થળે સુરક્ષા વધારી દીધી છે. આજે ખેડૂતોના આંદોલનનો ૬૭મો દિવસ છે.

ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોની વધતી સંખ્યા અને ખેડૂતો દિલ્હી તરફ કૂચ ન કરે એ માટે ગાઝીપુર બોર્ડર પર ૧૨ લેયરનું બેરિકેડિંગ કરી દેવાયું છે. પોલીસને આશંકા છે કે ૧ ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ બેરિકેિંડગ કરાયું છે. ગાઝીપુર બોર્ડર પર બેરિકેડિંગથી એનએચ-૨૪ બંધ છે. નોઈડાથી અક્ષરધામ જતા રસ્તા ઉપરાંત, દિલ્હીથી ઈન્દિરાપુરમ અને નોઈડા જતા રસ્તા પણ બંધ કરી દેવાયા છે. ૨૬ જાન્યુઆરી પછી ગાઝીપુરમાં સતત ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ખેડૂતો પહોંચી રહૃાા છે. મુઝફરનગરમાં શુક્રવારે થયેલી મહાપંચાયતમાં ખેડૂતોને આ જ અપીલ કરાઈ હતી.