શિવસેના પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી નહીં લડે

ટીએમસીને આપ્યું સમર્થન, મમતા બંગાળની સિંહણ: રાઉત

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના ઝંપલાવશે નહીં. શિવસેનાના નેતા સંજય રાઉતે એક ટ્વિટ કરી જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બંગાળની સિંહણ ગણાવતાં સંજય રાઉતે લખ્યું કે, શિવસેના એકજુથ થઇને તેમની સાથે ઊભી છે.

સંજય રાઉતે ટ્વિટમાં લખ્યું કે, શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે આ મામલે થયેલી મહત્વની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ચિત્ર સ્પષ્ટ છે કે, પશ્ર્ચિમ બંગાળમાં દીદી વિરુદ્ધ તમામની લડાઇ છે. તમામ વિરોધી પાર્ટીઓ મની, મસલ અને મીડિયાને મમતા દીદી વિરુદ્ધ ઉપયોગ કરી રહી છે. આ જોતાં શિવસેનાએ નિર્ણય લીધો છે કે, તે પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી નહીં લડે.

શિવસેનાના નેતા સંજય રાઉતે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કરતાં લખ્યું કે, અમને વિશ્ર્વાસ છે કે સાચા અર્થમાં તે બંગાળની સિંહણ છે. શિવસેના આ લડાઇમાં દીદી સાથે છે. અમે તેમની મોટી સફળતાની આશા કરીએ છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ર્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. મતદાન ૨૭ માર્ચ, ૧ એપ્રિલ, ૬ એપ્રિલ, ૧૦ એપ્રિલ, ૧૭ એપ્રિલ, ૨૨ એપ્રિલ, ૨૬ એપ્રિલ અને ૨૯ એપ્રિલે યોજાશે. જ્યારે મતગણતરી બીજી મેના રોજ કરાશે.