પીએમ જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં: સીતારામન

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.

સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.

સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.