દિલ્હીથી વુહાન પહોંચેલી એરઈન્ડિયાની ફલાઈટમાં ૧૯ ભારતીયો કોરોનાથી સંક્રમિત

તાજેતરમાં વંદેભારત મિશન અંતર્ગત નવી દિલ્હીથી ચીનના વુહાન પહોંચેલા ૧૯ ભારતીય પેસેન્જરના આરોગ્યની તપાસ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ મુસાફરોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

એર ઈન્ડિયાના કર્મચારીના જણાવ્યા પ્રમાણે, ૩૦ ઓક્ટોબરે ભારતથી ચીનના વુહાન જવા માટે ઉપડેલી વંદે ભારત મિશનની એર ઈન્ડિયાની ફલાઈટલમાં ૧૯ મુસાફરો ચીનના વુહાન શહેરમાં કોરોનાથી સંક્રમિત મળી આવ્યાં છે. આ તમામ પેસેન્જર્સને કોરોના રિપોર્ટ નેગેટિવ જોયા બાદ જ પ્લેનમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. કોરોના પ્રકોપને પગલે ભારતે માર્ચ મહિનાથી તમામ ઈન્ટરનેશનલ ફલાઈટો પર રોક લગાવી દીધી હતી. જે બાદ મે મહિનામાં વંદે ભારત મિશનનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે વિશેષ ફલાઈટો શરૂ કરાઈ હતી. આ મિશન અંતર્ગત અત્યાર સુધી ૨૦ લાખથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવી ચૂક્યાં છે.