સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાં શહેરના વાણીયાશેરી વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ કાલા કપાસના વેપારનો ધંધો કરતા ૩૧ વર્ષીય કર્મેશ ભરતભાઇ શાહ નામના યુવાન કાલા કપાસના સટ્ટામાં અંદાજે રૂપિયા ૨૬.૪૦ લાખ જેટલી રકમ હારી ગયા હતા. અને શહેરમાં અલગ અલગ શખ્સો પાસેથી ૫ થી લઇ ૧૫ ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધા હતા જે પેટે અંદાજે રૂપિયા ૪૦ લાખ જેટલી રકમ ૬ માસમાં પરત કર્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા આથી કર્મેશ શાહે તેના ઘરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે તેના પરિવારજનોએ જાણ થતાં તાત્કાલીક પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ ગયા હતા. ભોગ બનનાર કર્મેશ શાહે ૧૦ શખ્સો વિરૂધ્ધ રૂપિયાની કડક ઉઘરાણી કરી ધાકધમકી આપવા અંગે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ બી. એમ. દેસાઈ કરી રહૃાા છે. બીજી તરફ યુવાન દ્વારા ખાનગી સિક્યુરિટી ગાર્ડની માંગ કરવામાં આવી છે. અને તેના તેમજ તેના પરિવારજનોના જાનનું જોખમ હોય બે હથિયારધાર ધારી ગાર્ડ તેમજ એક સામાન્ય સિક્યુરિટી ગાર્ડની માંગણી કરવામાં આવી છે. મારૂ નામ કર્મેશ ભરતભાઇ શાહ છે. હું ધ્રાંગધ્રા વાણીયાશેરીમાં રહું છું. અંદાજે બાર માસ પહેલા કાલા કપાસના સટ્ટામાં રૂપિયા ૧૫ થી ૨૦લાખ હારી જતાં દેવુ થઇ ગયું હતુ.
આ દેવુ ચુકવવા મે શહેરમાંથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ૫ ટકાથી લઇ ૧૫ ટકા સુધીના વ્યાજે રૂપિયા લીધા હતા. મે તમામ શખ્સોને છ માસમાં જ વ્યાજ સહીત રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં વ્યાજે રૂપિયા આપનાર શખ્સો તેમજ તેમના મળતીયાઓ મારા ઘરે આવી ધમકી આપતા હતા કે તારા ચેક અને સ્ટેમ્પ પેપર અમારી પાસે છે તારે રૂપિયા આપવા પડશે નહીંતર અમે તને જાનથી મારી નાંખીશું. મોહીત શાહ પાસે મારા ચેક પડ્યા હતા તે ચેક અન્ય શખ્સોને આપી દઇ ખોટી ઉઘરાણી કરાવતા હતા.