સુરતમાં સગા બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી

સુરત ડાયમંડ નગરીમાંથી ક્રાઇમસિટી બનતી જાય છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, સુરત શહેરના કતારગામ વિસ્તારની નિલકંઠ સોસાયટીમાં સગા બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાંખી. જોકે હત્યારો આટલે થી અટક્યો ન હતો અને બાદમાં આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી નાસી ગયો. તપાસમાં જાણવા મળ્યુ કે આરોપી મહેશને પત્ની સાથે છુટાછેડાને લઈને એક વર્ષથી ચાલતો હતો. તે પ્રેમિકાને પામવા પત્ની પ્રીતિને સતત છૂટાછેડાની ધમકી આપ્યા કરતો, તેના લીધે જ મહેશે સાળાની હત્યા કરી નાંખી.

સમગ્ર ઘટના અંગે મૃતકના કાકા રાઘવભાઈએ કહૃાું હતું કે તેમની ભત્રીજી પ્રીતિના લગ્ન ૨૦ વર્ષ પહેલાં મહેશ મધુભાઈ ઝાંઝમેર સાથે થયા હતા. જોકે મહેશ કેટલાક સમયથી અન્ય એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો. જેથી તે પોતાની પત્ની પ્રીતિને છૂટાછેડા આપવા માગતો હતો. આ મુદ્દે મહેશે અનેક વખત સાસરી પક્ષના ઘરમાં ઘૂસીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે તેને કોઈ પણ ભોગે છૂટાછેડા જોઈતા હતા. તેથી જ તે દબાણ કરી રહૃાો હતો. રાઘવ ભાઇએ જણાવ્યું કે મંગળવારની સાંજે મહેશ અને એનો પરિવાર પિયર ગયેલી પ્રીતિને મળવા માટે આવ્યો હતો. જ્યાં છૂટાછેડાના મુદ્દે ભારે બોલાચાલી થઇ હતી.

તેઓએ પ્રીતિ અને ઘરની મહિલાઓ સાથે મારામારી કરી હતી. પ્રીતિના ભાઇ જયેશ અને નિતેશ નોકરીએથી પરત આવતા તેમને આ બાબતે જાણ થઈ હતી. જેથી તેઓ બનેવી મહેશને સમજાવવા ગયા હતા. પરંતુ મહેશે સોસાયટી બહાર જયેશ અને નિતેશ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરા છાપરી ઘા માર્યા હતાં, ચપ્પુના ઘા વાગતાં બન્ને ભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. મહેશે મહિલાઓ ને પણ જાહેરમાં લાકડાના ફટકા વડે માર માર્યો હતો. ઘાયલ બન્ને ભાઈઓ સહિત આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.