ગ્રીષ્માનાં હત્યારા ફેનિલને ફાંસીની સજા
સુરત પોલીસે 2500 પાનાની ચાર્જશીટ મુક્યા બાદ 70 દિવસમાં નમુનારૂપ ચુકાદો
કોર્ટ રૂમમાં ગ્રીષ્માનાં પરિવારજનો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા
ગ્રીષ્માનાં પિતાએ કહ્યું મારી દીકરીને ન્યાય મળ્યો, અમે તો ફેનિલને ઓળખતા પણ ન હતા
સુરતમાં માતા અને ભાઈની નજર સામે ગ્રીષ્મા વેકરીયા નામની 20 વર્ષની વયની યુવતીની જાહેરમાં ગળા પર છરો ફેરવી કરપીણ હત્યા કરવાના આરોપસર પકડાયેલા આરોપી ફેનિલ ગોયાણીને સુરતની અદાલતે ફાંસીની સજા ફટકારી છે.
અદાલતે 500 પાનાનો અસાધારણ, ઐતિહાસિક અને આકરો ચુકાદો આપ્યો છે અને આરોપીને દાખલારૂપ સજા ફટકારી છે. ફેનિલને ફાંસી મળતા નિર્દોષ અને અરમાનોભરી ગ્રીષ્મા અને તેના પરિવારને અંતે ન્યાય મળ્યો છે.
માત્ર સુરત નહીં સમગ્ર ગુજરાતમાં કહેવાતા પ્રેમી ફેનિલે એકતરફી પ્રેમમાં રોષે ભરાઈને જાહેર માર્ગ પર ગ્રીષ્માની છરાથી ગળું કાપી નાખી હત્યા કરવાની ઘટનાએ ખળભળાટ અને અરેરાટીનો માહોલ સર્જી દીધો હતો. સુરત પોલીસે સઘન, વ્યાપક તપાસ હાથ ધરીને ફેનિલ ગોયાણીની ધરપકડ કરી લીધી હતી. ગત 12 ફેબ્રુઆરીનાં રોજ ફેનિલે ગ્રીષ્માની કરપીણ હત્યા કર્યા બાદ પોલીસે ઝડપી તપાસ કરીને અદાલતમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
ચાર્જશીટ દાખલ થયાનાં 70 દિવસમાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને આરોપીને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે સજા સંભળાવી ત્યારે કોર્ટરૂમમાં હાજર ગ્રીષ્માનો પરિવાર ધ્રુસકે- ધ્રુસકે રડી પડ્યો હતો. ગ્રીષ્માનાં પિતાએ રડતી આંખે જણાવ્યું હતું કે, મારી દીકરીને ન્યાય મળ્યો છે. અમે તો ફેનિલને ઓળખતા પણ ન હતા.
જજે મનુસ્મૃતિનો શ્ર્લોક ટાંકીને સજા સંભળાવાની શરૂઆત કરી હતી. જજે જણાવ્યું હતું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. આરોપીને ઘટના પછી પણ પસ્તાવો થતો દેખાયો નથી. જજે ફાંસીની સજા સંભળાવી ત્યારે પણ આરોપીને કોઈ ડર કે અફસોસ થયાનું દેખાતું ન હતું. અદાલતે 500 થી વધુ પાનાનો લંબાણ ચુકાદો આપ્યો હતો.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, ઘટના પછી પણ આરોપીને કોઈ પસ્તાવો થતો ન હતો. કોઈ સારું કામ કર્યું હોય એવું કહેતો રહેતો હતો. સરકારી વકીલે કહ્યું હતું કે, હત્યાની ઘટનાનો વિડીયો ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વનો પુરાવો બન્યો છે. ગ્રીષ્માનાં ગળા પર છરો ફેરવ્યા બાદ મૃત્યુ પામેલી ગ્રીષ્માનાં મૃતદેહ પાસે ઉભા રહીને આરોપી ફેનિલ ગોયાણી કશું ખાતો હતો. એ વિડીયોની ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસે ગંભીર નોંધ લીધી હતી. ગ્રીષ્માની હત્યા કરતો હતો ત્યારે યુવતીને બચાવવા માટે ત્યાં હાજર લોકોમાંથી પણ કોઈ આગળ આવ્યું ન હતું. આ વિડીયો મહત્વનાં પુરાવા રૂપે કેસમાં કામ આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, આરોપી ફેનિલ ગોયાણીએ એકતરફી પ્રેમમાં પાગલ થઈને ગત 12 ફેબ્રુઆરીનાં રોજ ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી. રીઢા ગુનેગાર કે સાયકો હત્યારાની જેમ ગ્રીષ્માનાં ગળા પર બેવાર છરો ફેરવી તેણે ગ્રીષ્માની કરપીણ રીતે હત્યા કરી હતી. આરોપીએ જરાપણ દયા બતાવી ન હતી. અદાલતે ચાર્જશીટ રજુ થયા બાદ ગત 21 એપ્રિલે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો પણ સજા સંભળાવવામાં મુદ્દત પડી હતી. અગાઉ 26 એપ્રિલે સજા સંભળાવવાનું કોર્ટે નક્કી કર્યું હતું પણ સરકારી વકીલ હાજર ન હોવાથી મુદ્દત પડી હતી.
Read Saurashtra Kranti E-Paper here
છેવટે અદાલતે 5મી મે નાં રોજ સજા સંભળાવવાનું નક્કી કર્યું હતું અને એ મુજબ આજે ફેનિલને આઈપીસીની કલમ- 302, 305 મુજબ ફાંસીની સજા ફટકારી હતી. કલમ- 504, 507 વગેરે કલમો અંતર્ગત આરોપીને દંડ ફટકારવાનો અને પીડિતાનાં પરિવારને વળતર ચૂકવવાનો પણ જજ વ્યાસે આદેશ આપ્યો હતો. બચાવ પક્ષે એવી દલીલ પણ કરી હતી કે, આરોપી કોઈ ખૂંખાર અપરાધી નથી. આથી તેની ઉંમર ધ્યાનમાં લઈને સજા કરાય. આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. બીજીતરફ સરકારી વકીલે જોરદાર દલીલો કરી હતી અને કહ્યું હતું કે, આ આખો કેસ માત્ર વિડીયો આધારિત નથી.
આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હતો અને ખૂબ ગણતરી પૂર્વક હત્યા કરી છે. આરોપીએ ચપ્પુ ખરીદવા માટે ઓનલાઈન ફ્લીપકાર્ટને ઓર્ડર આપ્યો હતો. ઓડર કેન્સલ થતા આરોપીને મોલમાંથી ચપ્પુ ખરીદયો હતો. બીજું ચપ્પુ તેનાં મિત્ર પાસેથી ખરીદ કર્યું હતું. હત્યા કરતા પહેલા આરોપીએ રેકી પણ કરી હતી. અપરાધનાં દિવસે તે ગ્રીષ્માને શોધવા તેની કોલેજમાં ગયો હતો. તેણે ગ્રીષ્માની મિત્ર ધ્રુવતીને કહ્યું હતું કે, આજે ગ્રીષ્માનાં ઘરે જઈને કંઇક મોટું કરવાનો છું.
બનાવ પહેલા તેણે ક્રિષ્ના સાથે કરેલી ઇન્સ્ટાગ્રામ વાતચીત પણ તેનો હત્યાનો ઈરાદો દર્શાવે છે. આથી આરોપીને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. જજે ચુકાદામાં ઠરાવ્યું હતું કે, કસાબની જેમ આરોપી ફેનિલને પણ કોઈ પસ્તાવો થતો દેખાયો નથી. સજા સમાજમાં દાખલો બેસાડવા માટે અપાતી હોય છે. એટલે આ કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ટ્રાયલ દરમ્યાન પણ આરોપીને કોઈ પસ્તાવો દેખાયો નથી. તે વારંવાર માથામાં હાથ ફેરવતો રહેતો હતો.
Read About Weather here
કસાબની જેમ તેને પણ પસ્તાવો દેખાતો ન હતો. દરમ્યાન રાજ્યનાં મહેસુલ મંત્રી અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલને અભિનંદન આપ્યા હતા અને અદાલતનાં ચુકાદાને આવકાર આપ્યો હતો. ગ્રીષ્માનાં પિતાએ પણ પ્રતિક્રિયા આપી હતી કે, આવો ચુકાદો આવતા આવું કૃત્ય કરતા પહેલા હવે અન્ય અપરાધી બીજીવાર વિચાર કરશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here