સાવલીમાં મૃત પામેલા ૩૦ કાગડાના બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટીવ આવતા ચકચાર

ગુજરાતમાં બર્ડ ફલૂનો કહેર

રાજ્યમાં જૂનાગઢ-બારડોલી બાદ ત્રીજો કેસ નોંધાયો, મોર-કબૂતરના રિપોર્ટ તપાસ માટે લેબમાં મોકલાશે

રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢી બાદ હવે બર્ડ ફલૂનો ત્રીજો કેસ વડોદરાના સાવલીમાં સામે આવ્યો છે.?? વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસતંપુરા ગામમાં ૩૦ કાગડાના ટપોટપ મૃત્યુ થયા બાદ સેમ્પલ ભોપાલ ખાતે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં કાગડાના રિપોર્ટ બર્ડ ફલૂ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે પશુપાલન વિભાગની ટીમ દોડતી થઈ ગઇ છે અને પશુપાલન વિભાગના અધિકારીઓએ કલેક્ટર સાથે બેઠક યોજી છે અને પશુપાલન વિભાગની ટીમે સાવલી તાલુકાના મરઘા ઉછેર કેન્દ્રોને સાવચેતીના પગલા લેવા માટે સૂચનાઓ આપી છે.

સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં ગુરૂવારે સાંજના સમયે ૩૦ જેટલા કાગડાઓ ભેદૃી રીતે મૃત્યુ થયા હતા. જેથી બર્ડ ફલૂના કારણે તો આ કાગડા નથી મર્યાંને તેની શંકાએ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગ્રામજનોએ આ કાગડાઓને ભેગા કરીને મીઠુ ભભરાવી ખાડામાં દાટી દીધા હતા. આ અંગેની જાણ થતાં પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃત કાગડાના સેમ્પલ લઈ લીધા હતા અને ભોપાલ તપાસ માટે મોકલી આપ્યા હતા. જેનો રિપોર્ટ આજે બર્ડ ફલૂ પોઝિટિવ આવ્યા છે.

વડોદરા જિલ્લા પશુપાલન નાયબ નિયામક ડો. પ્રકાશ દરજીએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા પશુપાલન ખાતુ વસંતપુરા ગામમાં વેરાઇ માતાના મંદિરની બાજુમાં ૩૦ જેટલા કાગડાના મોત થયા હતા. અમારી ટીમ દ્વારા મૃત કાગડાના સેમ્પલ લેવાયા હતા અને ભોપાલની હાઇસિક્યુરીટી એનિમલ ડિસીઝ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ પોઝિટિ આવ્યા છે. આ ઉપરાંત કરજણ તાલુકાના કીયા ગામમાંથી મળેલા કબૂતર અને વડોદરાની રિલાયન્સ ટાઉનશિપમાંથી મળેલા ૨ મોરના સેમ્પલ પણ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મરઘા ફાર્મમાં તપાસ હાથ ધરી હતી. જેમાં અમે સાવચેતીને લગતી કેટલીક સૂચના આપી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત ગ્લોવ્ઝ અને સેનેટાઇઝરનો ઉપયોગ તથા વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધો મૂક્યાં છે. આ ઉપરાંત સ્વચ્છતા જાળવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેર-જિલ્લામાં જ્યાં જ્યાં પશુપાલન વિભાગની તપાસ ટીમો ગઇ હતી અને સાવલી તાલુકાના મરઘા ઉછેર કેન્દ્રોને સાવચેતીના પગલા લેવા માટે સૂચનાઓ આપી છે.