ભાવનગરમાં નવ વિવાહિત પત્નીને પિયર મૂકવા જતા યુવાનને ટ્રકે ચગદી નાખ્યો

ભાવનગરના વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. મહત્વનું છે આ દંપતીના લગ્ન ૫ દિવસ પહેલા જ થયાં હતાં. યુવાન પત્નીને પિયર મૂકવા જતો હતો.

ભાવનગરના સિહોરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા આશિષભાઈ બહાદુરભાઈ માવડીયા (ઉં.વ.૨૯) અને તેમના પત્ની જયશ્રીબેન આશિષભાઈ માવડીયા એક્ટિવા પર સિહોરથી ભાવનગર તરફ આવી રહૃાાં હતાં. ત્યારે વરતેજ પેટ્રોલ પંપ નજીક ટ્રક સાથે અકસ્માત થતાં આશિષભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ઘટનાની કરૂણતા એ છે કે આશિષભાઈ અને જયશ્રી બેનના લગ્ન ૫ દિવસ પહેલા જ થયા હતા. આશિષભાઈ તેમના પત્ની જયશ્રીબેનને તેમના પિયર ભાવનગરના હાદાનગર મૂકવા આવી રહૃાાં હતા. ત્યારે આ અકસ્માત થતાં આશિષભાઈનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.