બાપુનગરમાં શાકભાજી વેચનારા વચ્ચે જૂથ અથડામણ, પોલીસે ૧૪ સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં છાપરામાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. શાકભાજીના વેપાર મામલે બંને જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં લાકડીઓ, હથિયાર અને પથ્થર સાથે બંને જૂથો એકબીજા પર તૂટી પડ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસે ૧૪ લોકો સામે રાયોિંટગ સહિતનો ગુનો નોંધ્યો હતો. હાલ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

બુધવારે બપોરે શાકભાજી વેચતા બે જૂથ લાકડી, ધોકા અને પથ્થર સહિતના હથિયાર સાથે સામસામે આવી ગયા હતા અને મારામારી કરી હતી. બંને પક્ષના ટોળા એકબીજા પર તૂટી પડ્યા હતા અને મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ કોઈએ મોબાઈલમાં શૂટ કરી લીધો હતો. આ જૂથ અથડામણમાં ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જૂથ અથડામણની ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના ઘટનાસ્થળે પહોંચતા ટોળું વિખેરાઈ ગયું હતું. બાપુનગર પોલીસે ૧૪ લોકો સામે રાયોટીંગ મારામારી સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.