પાદરાના ચોકસી બજારની એસબીઆઇ શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત ૧૩ કર્મચારી કોરોના પોઝિટિવ

પાદરાની ચોકસી બજારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં કોરોના વિસ્ફોટ થયો છે. બ્રાન્ચ મેનેજર સહિત એક સાથે ૧૩ જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૯ કાયમી કર્મચારી અને ૪ હંગામી કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ મચી ગઈ છે. શાખામાં ચેક ક્લિયરિંનગ અને સરકારી ચલણ સિવાય બધી કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને ગ્રાહકોને બીજી શાખામાં જવા માટે બેંકની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું છે. ગ્રાહકોને અગવડ ઉભી ના થાય તે માટે એસબીઆઇની અરિહંત કોમ્પ્લેક્ષ ખાતેની શાખામાં સુવિધા ઊભી કરવામા આવી છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૨૪,૮૪૧ ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક ૨૪૧ થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૪,૦૧૯ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૫૮૧ એક્ટિવ કેસ પૈકી ૭૯ દર્દી ઓક્સિજન ઉપર અને ૩૧ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૪૭૧ દર્દીની હાલત સ્થિર છે.