ચૂંટણીમાં જીત પર ભાજપ પ્રેમીએ રોડ પર આળોટીને મંદિર સુધી પહોંચ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતીઓના ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસએ હોય છે ત્યારે તેમનું અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી જતા હોય છે. આવા જ એક ભાજપ પ્રેમી વ્યક્તિ છે અસારવાના રાજુભાઇ પારેખ, જેમનો ભાજપ પ્રત્યેનો પ્રેમ અનોખો છે. હાલમાં જ યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં અસારવામાં ભાજપની પેનલ જીતે તે માટે રાજુભાઈએ સુતા સુતા મંદિરે જઈને દર્શન કરવાની બાધા રાખી હતી. ચૂંટણી બાદ અસારવામાં ભાજપની પેનલનો વિજય થતા રાજુભાઈએ સિવિલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિર સુધી સુતા સુતા જવાની માનતા પૂરી કરી હતી.

અસારવા ગામમાં રહેતા ૪૮ વર્ષના રાજુભાઈ પારેખ નોકરીયાત વ્યક્તિ છે. રાજુભાઈ ભાજપ પ્રેમી છે અને ચૂંટણી સમયે ઉમેદવારોને સમર્થન તો આપે છે સાથે તેમની જીત માટે નિસ્વાર્થભાવે બાધા રાખે છે. તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના વિસ્તારમાં ભાજપ જીતે તે માટે તેમણે સૂતા સૂતા ખોડીયાર માતાના મંદિરે જવાની માનતા રાખી હતી. ભાજપના જીત્યા બાદ તેમણે અસારવાથી સિવિલ કેમ્પસમાં આવેલા ખોડીયાર મંદિર જઈને માનતા પૂરી કરી છે. અદાજે ૨ કિમી જેટલા અંતર તેમને સુતા સુતા પાર કર્યું હતું અને માતાજીને પગે લાગીને માનતા પૂર્ણ કરી હતી.

રાજુભાઇએ અગાઉ ૪ બાધા આ રીતે જ રાખી હતી. જેમાં ૨૦૧૪માં તેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે પણ માનતા રાખી હતી. આ ઉપરાંત રાજુભાઈ ગૃહમંત્રી પ્રદૃીપ સિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રજનીકાંત પટેલ માટે પણ માનતા રાખી ચૂક્યા છે અને તેને પૂર્ણ પણ કરી હતી. એવામાં તેમણે હવે ૫મી માનતા પણ પૂર્ણ કરી છે. માનતા પૂરી કરતા દરમિયાન રાજુભાઈની સાથે અસારવા વોર્ડના જીતેલા ચાર ભાજપના કોર્પોરેટર પણ ઉપસ્થિત રહૃાા હતા.