સતત બીજા દિવસે બે મોત નોંધાતા દાખલ દર્દીઓની સારવાર માટે તંત્રમાં દોડધામ
રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીનાં મોત નીપજતા તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલાઈઝેશનની સંખ્યા વધવાની સાથે જ મોતમાં પણ વધારો આવતા ફરીથી મિટિંગોનો દોર શરૂ થયો છે. જોકે હજુ સુધી આ મોત માત્ર કોરોનાને કારણે થયું હોય તેવું જાહેર કરાયું નથી. મંગળવારે તંત્રે જાહેર કરેલા આંક મુજબ શહેરમાં 35 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ શહેરમાં 16550 અને ગ્રામ્ય વિસ્તારમાં 2076 સહિત કુલ કેસની સંખ્યા 23626 થઈ છે. જે પૈકી 273 એક્ટિવ કેસ પણ છે.