કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવા નિર્ણય

મુખ્યમંત્રી રૂપાણી-CM-CORPORATE
મુખ્યમંત્રી રૂપાણી-CM-CORPORATE

રાજ્યના ૫ લાખ કર્મચારીઓને રૂપાણી સરાકરની દિવાળી ભેટ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. જે પ્રમાણે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતન વર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જોકે, ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા માટે આ એડવાન્સ રકમ અધિકારીઓ તેમજ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે.

જેના પરિણામે નાના વેપારીઓને વ્યવસાય રોજગારને વેગ મળશે. એટલું જ નહીં,પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે. છઠ્ઠી નવેમ્બરના રોજ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીને ૩,૫૦૦ રૂપિયાની મર્યાદામાં બોનસ આપવાની જાહેરાત કરી હતી. આ મામલે નિતીન પટેલ જણાવ્યું હતું કે, ’આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે ગત મહિના કેન્દ્રીય નાણા મંત્રીએ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે માંગ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નાણા મંત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ માટે એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેનાથી સરકારી કર્મચારીઓને એડવાન્સમાં રૂપિયા ૧૦ હજાર મળી શકશે. આનો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓને મળશે.

આ પ્રસંગે નાણા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ આ સ્કીમને લાભ લઈ શકશે. તેમણે કહૃાું કે, રાજ્ય સરકાર આ પ્રસ્તાવ સ્વીકાર કરશે તો તેના કર્મચારીઓ પણ આ લાભ લઈ શકશે. નાણા મંત્રીએ જણાવ્યું કે આ સ્કીમનો લાભ લેવા માટે કર્મચારીને પ્રી-પેડ કાર્ડ મળશે. એટલે કે તેમાં પહેલાથી જ રિચાર્જ હશે. જેમાં ૧૦ હજાર રૂપિયા મળશે. આ સાથે જ તેના પર લાગતા તમામ ચાર્જ પણ સરકાર ભોગવશે.