આઈઆઈએમ-એ અને યુનિસેફ ગુજરાતની સંયુક્ત કામગીરીના ભાગરૂપે- કેએમઆઈસી નોલેજ મેનેજમેન્ટ એન્ડ ઇનોવેશન ફોર ચેન્જ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત સર્વેમાં ૩૦ ટકા બાળકોને માર્ચ ૨૦૨૦થી કોઈ જ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી અને ૫૦ ટકાથી વધુ વાલીઓએ શાળા દ્વારા ફી મંગવામાં આવી છે તેવી કબૂલાત કરતા ગુજરાત હાઈકોર્ટે દ્વારા સુઓ મોટો જાહેરહિતની અરજી લેવામાં આવી છે. હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. સુઓ મોટો અરજીમાં કોર્ટે સર્વેની વાતને ધ્યાનમાં લીધું છે, કે સરકાર દ્વારા શાળાની ફી મુદ્દે નોટિસ છતાં લૉકડાઉનના સમયગાળામાં ૫૪ ટકા વાલીઓએ કબુલ્યું કે શાળાઓએ તેમની પાસેથી ફીની માંગણી કરી હતી.
ખાનગી શાળામાં અભ્યાસ કરનાર વિધાર્થીઓના ૪૦ ટકા વાલીઓને ફી રાહત અંગે ખબર ન હોવાનો ખુલાસની પણ કોર્ટે નોંધ લીધી છે. ૫૦ ટકા જેટલા માતા પિતાએ નોંધ્યું કે આવા કપરા સમયમાં ફી રકમની ગોઠવણ કરવી તેમના માટે અઘરું હતું. લૉકડાઉનને શાળાની ફી ન ભરવાને લીધે બાળકોની સ્કૂલમાંથી ડ્રોપઆઉટની વાતને પણ કોર્ટે ગંભીરતાથી લીધી છે. ઘણી શાળામાં ફી ન ભરી શકવાને લીધે વિધાર્થીઓને અન્ય સ્કૂલમાં પણ પ્રવેશ લેવાનું પણ સામે આવ્યું છે. કોર્ટે આ તમામ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી હતી.
સર્વેમાં વધુ એક ચોકવનારી વિગત સામે આવી હતી જેમાં ૫૪ ટકા પરિવારોએ કબુલ્યું કે તેમની પાસે માત્ર ટીવી અને કેબલ કનેક્શન છે. જ્યારે ૨ ટકા લોકો પાસે જ લેપટોપ, વાઈફાઈ છે. ઈમેલનો ઉપયોગ ૧૨ ટકાથી પણ ઓછા લોકો કરે. કોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી ૫મી જાન્યુઆરીના રોજ નિયત કરી છે. આઈઆઈએમ અમદાવાદ અને યુનિસેફ દ્વારા કરાયેલા સર્વેમાં ૩૭૫ મધ્યમ લૉવર વર્ગીય પરિવારો પર જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે કરવામાં આવ્યું હતું.