અમદાવાદમાં રાજકીય નેતાની હત્યામાં મોટો ખુલાસો:મહિલા મિત્રને મળવા જતા મોત મળ્યું

અમદાવાદમાં રાજકિય નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુ રહસ્ય પરથી પોલીસે પરદો ઉંચકી નાખ્યો છે. મૃતક ઉમેદસિંહ સ્ત્રી મિત્ર સાથે કારમાં બેઠા હતા અને સ્થાનિક ત્રણ લોકો એ ઝગડો કરતા હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. આ મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે. અમદાવાદના સામાજિક કાર્યકર અને રાજકિય પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાનાં શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કાલુપુર પોલીસે હત્યાની કલમ હેઠળ હનીફ, ફારૂક અને મુનાફ નામના ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યા કઈ પરિસ્થિતિમાં થઇ હતી તે અંગે પોલીસ તપાસ કરતા ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું.

ઉમેદસિંહ ચાવડાની હત્યાની ઘટનામાં સાત લોકો વિરૂદ્ધ કાલુપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. સૌથી પહેલા પોલીસે એ મુદ્દાની તપાસ કરી હતી કે ૩૦-૧૨-૨૦૨૦ની રાત્રિ એટલે કે બનાવની રાતે મૃતક સાથે કોની-કોની હાજરી હતી. જેમાં ઉમેદસિંહ ચાવડાના બે મિત્રો અને એક મહિલા મિત્રોના નામ સામે આવ્યા હતા. જેમની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક ઉમેદસિંહ ચાવડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને જેને નોકરીની જરૂરિયાત હતી. જેથી તે મહિલા મિત્રને મળવા માટે ખાડિયા ચાર રસ્તા નજીક કારમાં મોડી રાત્રે મળવા માટે ગયા હતા અને કારમાં બંનેની મુલાકત ચાલી રહી હતી.

ત્યારે જ હનીફ, ફારૂક અને મુનાફે આવીને કારનો દરવાજો ખખડાવ્યો હતો. જેને લઇને મૃતક ઉમેદસિંહ ચાવડા અને હનીફ, ફારૂક અને મુનાફ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં મૃતકને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે કાલુપુર પોલીસે આ હત્યાના બનાવ સંબંધે તાજના સાક્ષી એવા મહિલા મિત્ર અને અન્ય બે મિત્રોના નિવેદન નોંધી સ્થળ પરના સીસીટીવી કબ્જે કર્યા હતા અને આરોપીઓ વિરુદ્ધની કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.