વડોદરા શહેરના લોકોને મહિસાગર અને આજવા સરોવરમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે.
આજવા સરોવરથી આવતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર્વ વિસ્તારમાં વધુ એક દિવસ પાણી ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પાણી ન મળતા વિવિધ વિસ્તારમાં લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. લોકોએ પાણીના જગ, ખાનગી ટેન્કરો, ફાયર બ્રિગેડના ટેન્કરો તેમજ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના ટેન્કરો મંગાવીને દિવસ પસાર કરવાનો વખત આવ્યો છે. જોકે, આજવા લાઇનનું ભંગાણનું સમારકામ પૂર્ણ થઇ જતાં આજે સાંજે હળવા દબાણથી અને શનિવાર સવારથી રાબેતા મુજબ પાણી મળવાની શરૂઆત થઇ જશે તેવો દાવો પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.