દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાની તબિયત વધુ લથડી

ગુજરાતમાં કોરોનાના રોજ ૧ હજારથી વધુ કેસ સામે આવી રહૃાા છે. તો બીજી તરફ અનેક નેતા અને અભિનેતા તેની ઝપેટમાં આવ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયા પણ તેની ઝપેટમાં આવ્યા હતા. જેની સારવાર હાલમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે.

તો બીજી તરફ યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહૃાા છે. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. સંતાનમાં તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે.

નરેશ કનોડિયા કોરોના પોઝીટીવ આવ્યાં ત્યારે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે પાપાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા પ્રતિક ગાંધી, જયશ્રી પરીખ, કિરણ કુમારને પણ કોરોના થયો હતો. આ બધા કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.